અંબાજી આવતા તમામ માઈભક્તો મોહનથાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જતા હોય છે ત્યારે ચાલુ વર્ષે મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહે તે માટે વિશેષ ૨૭ જેટલા પ્રસાદ કેન્દ્રો બનાવી પ્રસાદ વિતરણની વ્યવસ્થા અવિરત ચાલુ છે. ૭૦૦ જેટલા કારીગરો પ્રસાદ બનાવી રહ્યા છે.


આદિવાસી બાંધવો પરંપરાગત લોકગીતો ગાઈને માઁ અંબેના પ્રસાદ બનાવી રહ્યા છે

જિલ્લા પુરવઠા અધિકારી અને પ્રસાદ સમિતિના નોડલ કે.કે.ચૌધરીએ જણાવ્યું કે, ગણેશ ચતુર્થીથી લઈને અત્યાર સુધી કુલ ૬૫૧ ઘાણ પ્રસાદ તૈયાર કરાઈ છે. ૮૦ ગ્રામના કુલ ૨૫ લાખ પેકેટ પ્રસાદના તૈયાર કરાયા છે. મહા મેળાનો આજે ચોથો દિવસ છે અને માઁ અંબેના મનભાવન પ્રસાદ મોહનથાળના અત્યારસુધી ૧૧ લાખથી પણ વધારે પેકેટ વિતરણ થયા છે. તમામ માઇભક્તોને માઁ અંબેનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે તંત્ર તરફથી પુરતી વ્યવસ્થા કરાઈ છે. ૭૦૦ થી પણ વધારે આદિવાસી બાંધવો પરંપરાગત લોકગીતો ગાઈને માઁ અંબેના પ્રસાદ બનાવી રહ્યા છે.

૨૭ જેટલા પ્રસાદ વેચાણ કેન્દ્રો થકી પ્રસાદ વિતરણની કામગીરી ચાલુ છે

અંબાજી ખાતે બનાવવામાં આવતી પ્રસાદના એક ઘાણમાં ૩૨૬.૫ કી.ગ્રા.પ્રસાદ બનતો હોય છે. એક ઘાણમાં બેસન ૧૦૦ કી.ગ્રા, ખાંડ ૧૫૦ કી.ગ્રા, ઘી ૭૬.૫ કી.ગ્રા અને ઈલાયચી ૨૦૦ ગ્રામ એમ કુલ ૩૨૬.૭ કિલોગ્રામ પ્રસાદ બનાવવામાં આવે છે. મોહનથાળ પ્રસાદ બનાવવા માટે દૂધનો ઉપયોગ કરવામાં આવતો નથી. મેળા દરમિયાન કુલ ૧૦૦૦ ઘાણ બનાવવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. મેળા દરમ્યાન યાત્રિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ માટે મંદિર પરિસર તેમજ અલગ અલગ જગ્યાએ કુલ - ૨૭ જેટલા પ્રસાદ વેચાણ કેન્દ્રો થકી પ્રસાદ વિતરણની કામગીરી ચાલુ છે.

માઁ અંબાના પ્રસાદમાં ભળ્યો આદિજાતિના લોકસંગીતનો લહેકો

ભાદરવી પૂનમ મહા મેળામાં અંબાજી પ્રસાદ ઘરમાં ૭૦૦ થી વધુ આદિવાસી બાંધવો માઁ અંબાના મનભાવન મોહનથાળ પ્રસાદની તૈયારીમાં જોડાયા છે. પુરુષો પરંપરાગત લોકગીતો ગાઈ પ્રસાદ બનાવે છે તો મહિલાઓ આદિવાસી લોકબોલીના ગીતો પર ગરબે ઘૂમી ભક્તિમાં લીન થાય છે. તેમની મહેનત, શ્રદ્ધા અને લોકસંગીતના લહેરાતા સ્વરો થકી માઁ અંબેના પ્રસાદને અનોખી મીઠાસ અને ભક્તિનો સુગંધિત સ્પર્શ આપે છે.


  • Follow us on: