હંમેશા પાણીની તંગી ભોગવતા બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પંથકમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસતા દાંતીવાડા પંથકના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતરમાં વાવેલ પાકો પાણીમાં ગરકાવ થઈ જતા પાક નિષ્ફળ જતા ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવતા ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.


ભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન

બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ સારા ઉત્પાદનની આશાએ મોંઘભાવના બિયારણો લાવીને મગફળી સહિતના વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું પરંતુ આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેરબાન થયો છે ગઈકાલે બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં 7 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડતા ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. વરસાદે વિરામ લીધા બાદ પણ ખેડુતોના ખેતરોમાં ઢીંચણ સમા પાણી ભરાઈને પડી રહેતા ખેડૂતોની મગફળી સહિતનો પાક પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને મોટુ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

મગફળીનું વાવેતર કર્યું હતું તે પણ નિષ્ફળ ગયું

દાંતીવાડાના ખેડા-ભાખર ગામના ફોજાજી માળીના ખેતરમાં પહોંચી હતી જ્યાં ખેડૂતના 20 વિઘામાં વાવેતર કરેલ મગફળીનો પાક પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતને મોટું નુકસાન પહોંચ્યું છે. ખેડૂત સંદેશ ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે મેં 4 લાખ જેટલો ખર્ચ કરીને 20 વિઘામાં મગફળીનું વાવેતર કર્યું હતું અને મને 15થી 20 લાખનું ઉત્પાદન થવાની આશા હતી મેં મોંઘભાવના બિયારણ અને ખાતર લાવીને અનેક સપનાઓ જોઈને મગફળીનું વાવેતર કર્યું હતું પણ અચાનક ધોધમાર વરસાદ પડતાં મારો તમામ મગફળીનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે કશુંજ બચ્યું નથી મને તેમજ આજુબાજુના ખેડૂતોને મોટું નુકસાન થયું છે જેથી સરકાર તાત્કાલિક સર્વે કરાવીને અમને નુકસાનીનું વળતર ચૂકવે તેવી અમારી માંગ છે.

 

  • Follow us on: