શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫નું આયોજન કરાશે. આજરોજ અંબાજી ખાતે જિલ્લા કલેક્ટર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. કલેકટરે બેઠક બાદ વિવિધ સ્થળની મુલાકાત લઈને આયોજન અંગે નિરીક્ષણ કર્યુ હતું.
કલેકટરે ઉપસ્થિત અધિકારીઓને વિવિધ સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું
આ બેઠકમાં કલેકટરે જિલ્લાની અલગ અલગ કુલ ૨૯ સમિતિઓ દ્વારા અત્યાર સુધી કરેલ કામગીરી અને હવે પછીની કરવામાં આવનાર કામગીરી અંગે સમીક્ષા કરી હતી. કલેકટરે ઉપસ્થિત અધિકારીઓને વિવિધ સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં વીજળી, પાણી, સ્વચ્છતા, ટ્રાફિક મેનેજમેન્ટ, ભોજન, સલામતી અને કાયદો વ્યવસ્થાપન, આરોગ્ય અને ઇમરજન્સી સારવાર, પાર્કિંગ, પ્રસાદ વ્યવસ્થા, ઈમરજન્સી રિસ્પોન્સ, પદયાત્રી સંઘ - સેવા કેમ્પોની નોંધણી, હેલ્પ સેન્ટર, પ્રચાર - પ્રસાર, યાત્રિક ગણતરી અને ડેટા સેન્ટર, ડ્રોન શૉ, વિસામા, મંદિર દર્શન અને નિગરાની સહિતની બાબતો પર જરૂરી માર્ગદર્શન પૂરું પાડીને સૂચનો કર્યા હતા.
બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિકારી પણ હાજર રહ્યાં
જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, સાત દિવસના ટૂંકા ગાળામાં ૩૫ થી ૪૦ લાખ પદયાત્રીઓ શ્રધ્ધા સાથે અંબાજી ખાતે આવતા હોય છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા પદયાત્રીઓને તમામ સુવિધાઓ પૂરી પડાય તે જરૂરી છે. ચાલુ વર્ષે સ્વચ્છતા એ જ સેવા સૂત્રને ચરિતાર્થ કરીને સ્વચ્છતા પર ખાસ ભાર મૂકાશે. ૧૫૦૦ જેટલા સફાઈ કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક સ્વચ્છતામાં જોડાશે. આ સાથે વેપારીઓ અને પદયાત્રીઓ કચરો ડસ્ટબીનમાં જ નાખે તે જરૂરી છે. મેળામાં ૮ સેક્ટર અને ૧૬ ઝોનમાં પોલીસ વિભાગ કામગીરી કરશે જેમાં કુલ ૫૦૦૦ જેટલો પોલીસનો સ્ટાફ ફરજ બજાવશે. અંબાજી ખાતે મેળામાં ચાલીને આવતા પદયાત્રીઓ રસ્તાની ડાબી બાજુ ચાલશે તથા રસ્તાની જમણી બાજુએ વાહનો ચાલશે. ચાલુ વર્ષે વિવિધ સુવિધાઓ ઑનલાઇન કરાઈ છે તેનો લોકો વધુમાં વધુ લાભ લે તે જરૂરી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી સહિત સબંધિત વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.