ભાવનગર શહેર અને આસપાસના વિસ્તારમાં વ્યાજખોરીનું વિષચક્ર વધુ એક નિર્દોષ વ્યક્તિનો બલિ લેવામાં કારણભૂત બન્યું છે. ભાવનગરમાં રહેતા 36 વર્ષીય અનિલભાઈ હિંમતભાઈ ભીમાણી નામના યુવકે વ્યાજખોરોના અસહ્ય ત્રાસ અને ધમકીઓથી કંટાળીને પોતાના ઘરે પંખા સાથે ઈલેક્ટ્રિક વાયર બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં અરેરાટી અને ભારે શોક વ્યાપી ગયો છે.

10% થી 20% સુધીનું ઊંચું વ્યાજ વસૂલતા હતા વ્યાજખોરો

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ, મૃતક અનિલભાઈ પાસે માથાભારે વ્યાજખોરો દર મહિને 10 ટકા, 15 ટકા અને 20 ટકા જેટલું ઊંચું વ્યાજ વસૂલતા હતા. આટલા ભારે વ્યાજચક્રમાં ફસાયેલા યુવક માટે રકમ ચૂકવવી અશક્ય બની ગઈ હતી. આત્મહત્યા કરતા પહેલા અનિલભાઈએ એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેમને માનસિક અને આર્થિક રીતે હેરાન કરતા 6 જેટલા માથાભારે વ્યાજખોરોના નામોનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વરતેજ પોલીસે સુસાઇડ નોટ કબ્જે કરી ગુનો દાખલ કર્યો

ઘટનાની જાણ થતાં જ વરતેજ પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. વરતેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. દ્વારા જણાવવામાં આવ્યું છે કે મૃતક પાસેથી મળી આવેલી સુસાઇડ નોટ પોલીસે વિધિવત કબ્જે કરી લીધી છે. સુસાઇડ નોટમાં દર્શાવેલા 6 વ્યાજખોરો વિરુદ્ધ ગુનાહિત છેતરપિંડી, ધાકધમકી અને આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વરતેજ પોલીસે આગળની કાયદાકીય તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાતમાં રોકાણ લાવવા CMનો મેગા પ્લાન, US-કેનેડામાં ઉદ્યોગકારો અને સરકારો સાથે બેઠક કરશે