ભાવનગરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વલ્લભીપુર-અમદાવાદ હાઈવે પર આજે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં એક વાહનચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજયું. પોલીસ અકસ્માતની ઘટના જાણ થતા સ્થળ પર પહોંચી ગઈ. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી.


બાઈકચાલકનું ઘટનાસ્થળ પર મોત

અકસ્માત ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ વલ્લભીપુર - અમદાવાદ હાઇવે પર લાખણકા ઢાળ પાસે પૂરઝડપે પસાર થતી કારની બાઈક સાથે ટક્કર થઈ. બાઈક અને કારની જોરદાર અથડામણ થતા ચાલક દૂર ફંગોળાયો. બાઈક ચાલક રોડ પર ભયંકર રીતે પટકાતા ગંભીર ઇજા પહોંચી. અકસ્માતમાં બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો જ્યારે બાઈકચાલકને ગંભીર ઇજા થઈ. અને કારનો પણ આગળનો ભાગમાં કાચ તૂટી જતા કારચાલકે બેલેન્સ ગુમાવ્યું. લાખણકા ઢાળ પાસે સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજાના પગલે બાઈકચાલકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયું.

પોલીસે અકસ્માતની તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ. અકસ્માતની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે અકસ્માતમાં મૃત્યુ પામનાર બાઈક ચાલક વલ્લભીપુર સમૂહ લગ્નમાં હાજરી આપવા આવ્યા હતા. મૃતક નાનુભાઈ નારણભાઈ આમરેલીયા ગામ રાજપીપળા, તાલુકો ગઢડાના રહેવાસી બાઈકચાલક પોતાના ઘરે પરત ફરતા કાળનો કોળિયો બન્યો. પોલીસે  મૃતકને પી.એમ.અર્થે વલ્લભીપુર આરોગ્ય કેન્દ્ર ખસેડાયા. અકસ્માતને લઈને પોલીસ અકસ્માત સ્થળની આસપાસના સીસીટીવી ચેક કરશે. કયા કારણે અકસ્માત સર્જાયો તેની તપાસ કરશે. જો કારચાલક દોષિ હોવાનું સામે આવશે તો કાયદાકીય પગલાં લેવાશે.

  • Follow us on: