ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં આવેલા કાળાતળાવ ગામમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો. અહીં એક વૃદ્ધ ખેડૂત પર ત્રણ લુખ્ખા તત્વોએ પાવડા જેવા હથિયારથી હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો. આ ઘટનાના ભોગ બનેલા વૃદ્ધ ખેડૂતનું નામ અરજણભાઈ દિયોરા છે. જેઓ ગામમાં એકલા રહે છે અને તેમના દીકરાઓ સુરત રહે છે. વરસાદને કારણે તેમના ખેતરનો પાળો તૂટી ગયો હતો.
ત્રણ લુખ્ખા તત્વોનો વૃદ્ધ ખેડૂત પર હુમલો
જેને અરજણભાઈ કેટલીક મજૂર બહેનો સાથે માટી ભરીને સરખો કરી રહ્યા હતા. તે સમય દરમિયાન ત્રણ લુખ્ખા તત્વોએ ત્યાં આવીને અપશબ્દો બોલીને તેમની પર હુમલો કર્યો હતો. વીડિયો ફૂટેજના આધારે હુમલો કરનાર ત્રણ વ્યક્તિઓની ઓળખ થઈ હતી. તેમના નામ રાજુ ઉલવા, નાથા રબારી અને મામેયા રબારી છે. આ લુખ્ખા તત્વોએ મજૂર બહેનોની હાજરીમાં પણ શરમ રાખ્યા વિના બેફામ ગાળો બોલીને અરજણભાઈ પર પાવડાથી હુમલો કર્યો હતો.
વૃદ્ધ પર થયેલા નિર્દયી હુમલાથી ગામલોકો ચોંકી ઉઠ્યા
આ ઘટના બાદ ગામલોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વૃદ્ધ અને સેવાભાવી અરજણભાઈ પર થયેલા આ નિર્દયી હુમલાથી ગામલોકો ચોંકી ઉઠ્યા હતા. ત્યારબાદ આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે વીડિયો ફૂટેજને આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાએ ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા.