ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પવિત્ર જન્માષ્ટમી પર્વની ઉજવણીના ભાગરૂપે શહેરના જવાહર મેદાન ખાતે ત્રણ દિવસીય ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક મેળાનું ઉદ્ઘાટન રાંધણ છઠ્ઠના દિવસે વિવિધ મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવશે. આ ખાસ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીને પણ વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને આ ત્રણ દિવસ દરમિયાન તેઓ આ ઉત્સવમાં હાજરી આપે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
30,000 બાળકોને મફત પાસ અને સખી મંડળોના સ્ટોલ બનશે આકર્ષણ
મનપા દ્વારા આયોજિત આ મેળામાં નગર પ્રાથમિક શાળાના આશરે 30,000 જેટલાં બાળકો આનંદ મેળાની મજા માણી શકે તે માટે મફત પાસનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત મુલાકાતીઓના સ્વાદપ્રિય આયોજન માટે 24 સ્ટોલ ધરાવતું વિશાળ ફૂડ કોર્ટ પણ ઊભું કરવામાં આવશે. મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના હેતુથી આ ફૂડ કોર્ટમાં 20 જેટલા સ્ટોલ ખાસ સખી મંડળો માટે અનામત રાખવામાં આવ્યા છે, જેથી સ્થાનિક મહિલાઓને પણ રોજગારી અને મંચ મળી રહે.
