ભાવનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કેસ સામે આવતાં જ સમગ્ર આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામે એક શ્રમિક પરિવારના 6 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થયા બાદ તેનું કરુણ મોત નીપજ્યું છે. આ બનાવના પગલે સ્થાનિક વિસ્તાર સહિત સમગ્ર જિલ્લામાં ભય અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.
વલ્લભીપુરના મેલાણા ગામે આરોગ્ય વિભાગની ટીમો એક્શનમાં
બાળકના મોતની પુષ્ટિ થતાં જ વલસાડ જિલ્લા આરોગ્ય નિયામકની આગેવાની હેઠળ આરોગ્ય વિભાગની ટીમો તાત્કાલિક મેલાણા ગામે પહોંચી ગઈ હતી. વાડી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારો તેમજ ગામના અન્ય રહીશોના ઘરે-ઘરે જઈને ઘન સર્વે શરૂ કરવામાં આવ્યો છે. 14 વર્ષથી નીચેના તમામ બાળકોની ઝીણવટભરી શારીરિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ICMR અને ચેન્નાઈ-પોંડિચેરીની નિષ્ણાત ટીમો પણ મેદાનમાં
આ સનસનાટીભર્યા વાયરસના પગલે સ્થાનિક તંત્રની સાથે નેશનલ લેવલના નિષ્ણાતો પણ તપાસમાં જોડાયા છે. ICMR પોંડિચેરી અને ચેન્નાઈથી આવેલી સ્પેશિયાલિસ્ટ ટીમો ભાવનગર આરોગ્ય વિભાગ સાથે મળીને સ્થિતિ પર નજર રાખી રહી છે. તપાસ દરમિયાન જે બાળકોમાં તાવ કે અન્ય બીમારીના લક્ષણો જોવા મળે છે, તેમના તાત્કાલિક બ્લડ સેમ્પલ લેવાની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે.

તાવ કે બીમારી જણાય તો તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા તાકીદ
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્ર દ્વારા ગ્રામજનોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. જો 14 વર્ષથી નીચેના કોઈ પણ બાળકને તાવ, ઉલટી કે બેભાન જેવા લક્ષણો જણાય તો તેને જરાય વિલંબ કર્યા વિના તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવા કડક સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો - Bhavnagar: ચાંદીપુરા વાયરસથી પ્રથમ માસૂમનું મોત થતાં આરોગ્ય વિભાગમાં દોડધામ, મેલાણા ગામના 9 વર્ષીય બાળકે જીવ ગુમાવ્યો