મેજર ધ્યાનચંદ જયંતિની ઉજવણી પ્રસંગે ભાવનગર શહેરમાં ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શહેરમાં આજે વહેલી સવારે સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાનગરપાલિકાના મેયર ભરત બારડ, જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલ, મ્યુનિસિપલ કમિશનર એન.કે.મીણાએ ફ્લેગ ઓફ કરી સાયકલોથોનનો પ્રારંભ કરાવ્યો હતો.
દરેક વ્યક્તિને સર્ટીફિકેટ આપવામાં આવ્યા
ભાવનગર શહેરમાં 9 કિલોમીટર સુધી યોજાયેલી આ સાયકલ રેલીમાં અંદાજે 1,000થી વધુ સાયકલિસ્ટોએ ઉત્સાહભેર ભાગ લઈ ફિટ અને તંદુરસ્ત રહેવાનો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પણ સ્વયં સાયકલ ચલાવીને નગરજનોને ફિટ રહેવાનો સંદેશ આપ્યો હતો. આ સાયકલોથોનમાં ભાગ લેનાર દરેક વ્યક્તિને સર્ટીફિકેટ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ડેપ્યુટી કમિશનર અને અધિકારીઓ રહ્યા હાજર
આ સાયકલોથોન ગુલીસ્તા, સેન્ટ્રલ સોલ્ટ, દિલબહાર પાણીની ટાંકી, જ્વેલર્સ સર્કલ, નીલમબાગ, કાળાનાળા અને પરત ગુલીસ્તાન ખાતે તેની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સન્ડે ઓન સાયકલ રેલીમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયા, ડેપ્યુટી કમિશનર જે.કે.રાવલ, ભાવનગર મહાનગર પાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ, વિવિધ એસોસિયેશનો, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ભાવનગરના શહેરના નગરજનો અને સાયકલિસ્ટો જોડાયા હતા.