ભાવનગરની સમરસ છાત્રાલયમાં પીરસવામાં આવતા ભોજનમાં જીવતા જંતુઓ અને ઈયળો મળી આવવાના ગંભીર આક્ષેપો સાથે વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.આ સંવેદનશીલ મુદ્દાને ગંભીરતાથી લઈને વિદ્યાર્થીઓની સમસ્યાઓ અને જરૂરિયાતોનો ઉકેલ લાવવા માટે ધારાસભ્ય સેજલ પંડ્યાના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી.

સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સાથે સમીક્ષા

ભાવનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં ધારાસભ્ય સેજલબેન પંડ્યા ઉપરાંત સંબંધિત સરકારી અધિકારીઓ,ભોજનનો કોન્ટ્રાક્ટર,પોલીસ તંત્ર અને વિદ્યાર્થી પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય હોસ્ટેલમાં પીરસાતા ભોજનની ગુણવત્તા, સ્વચ્છતા અને શિક્ષણ સંબંધિત મુદ્દાઓનો કાયમી ઉકેલ લાવવાનો હતો.

જંતુઓ મળી આવતા વિદ્યાર્થીઓમાં હતો ભારે રોષ

છેલ્લા કેટલાક દિવસોથી સમરસ કન્યા અને કુમાર બંને છાત્રાલયોમાં પીરસવામાં આવતા ભોજનમાંથી જીવાત મળી આવતી હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. વિદ્યાર્થીઓએ આરોગ્ય સાથે થતા આ ખિલવાડ સામે વિરોધ નોંધાવ્યો હતો.ધારાસભ્ય સેજલ પંડ્યાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની તમામ વ્યાજબી ચિંતાઓ અને પ્રશ્નો અંગે સરકારમાં ઉચ્ચ સ્તરે ચર્ચા કરવામાં આવશે.જવાબદાર અધિકારીઓ અને તંત્રે ખાતરી આપી છે કે વિદ્યાર્થીઓને પૌષ્ટિક તથા સ્વચ્છ ભોજન મળી રહે તે માટે ત્વરિત અને સંતોષકારક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃ Ahmedabad News: દુષ્કર્મ કેસમાં દોષિત પિયુષ જેઠવાને કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારી