ભાવનગરમાં એક વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના લોકોનો આભાર માન્યો અને જણાવ્યું કે, "ભાવનગરે તો આજે વટ પાડી દીધો છે. અહીં મને માનવ સમુદ્ર દેખાય છે." તેમણે કહ્યું કે આ કાર્યક્રમ ભલે ભાવનગરમાં થઈ રહ્યો હોય, પરંતુ તેની અસર આખા દેશ પર પડશે, કારણ કે આ કાર્યક્રમ 'સમુદ્રથી સમૃદ્ધિ'ની દિશા દર્શાવે છે.
ભાવનગરે તો આજે વટ પાડી દીધો
વડાપ્રધાને પોતાના જન્મદિવસની શુભકામનાઓ બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે તેઓ તમામના પ્રેમ બદલ આભારી છે. તેમણે જણાવ્યું કે, 2 ઓક્ટોબરથી દેશભરમાં 'સેવા પખવાડિયું' ઉજવાઈ રહ્યું છે, જેમાં અસંખ્ય સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પ અને સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં પણ 30 હજારથી વધુ સ્થળોએ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું સ્મરણ કર્યું અને જણાવ્યું કે, "ભારતની એકતા માટે કૃષ્ણકુમારસિંહજીએ મોટું યોગદાન આપ્યું." તેમણે ઉમેર્યું કે GSTમાં ઘટાડો થતા બજારોમાં નવરાત્રિની રોનક જોવા મળશે અને આ ઉત્સવના માહોલમાં 'સમુદ્રથી સમૃદ્ધિ'નો મહાઉત્સવ ઉજવાઈ રહ્યો છે.












