ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે મુસાફરોની સુવિધા માટે નીચે મુજબ તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી છે, ટ્રેન નંબર 20966/20965 ભાવનગર-સાબરમતી-ભાવનગર દૈનિક સુપરફાસ્ટ ઇન્ટરસિટી ટ્રેનમાં 04 (ચાર) જનરલ શ્રેણીના વધારાના કોચ જોડવામાં આવશે. આ સુવિધા 04 સપ્ટેમ્બર, 2025 થી 03 ઑક્ટોબર, 2025 સુધી ઉપલબ્ધ રહેશે. આ નિર્ણયથી મુસાફરોને વધારાની બેઠકો તેમજ મુસાફરીની સુવિધા મળશે અને ભીડભાડમાંથી પણ રાહત મળશે.


રેલ કામગીરીમાં સુગમતા અને કાર્યક્ષમતામાં વધારો કરાયો

પશ્ચિમ રેલવે પોતાના મુસાફરોને સુરક્ષિત અને આરામદાયક પ્રવાસ અનુભવ પૂરો પાડવા માટે પ્રતિબદ્ધ છે. આ દિશામાં પશ્ચિમ રેલવેના તમામ 6 મંડળોમાં મોટાભાગના લેવલ ક્રોસિંગ (ઇન્ટરલોક્ડ અને નોન-ઇન્ટરલોક્ડ બંને) બંધ કરીને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. રેલવે પર લેવલ ક્રોસિંગ બંધ કરવાથી અનેક ફાયદા થાય છે, જેમ કે માર્ગ અને રેલ સુરક્ષામાં વધારો, ટ્રાફિક ભીડમાં ઘટાડો, અકસ્માતોમાં ઘટાડો, ટ્રેનની ઝડપમાં વધારો, સમયપાલનમાં સુધારો તેમજ સમગ્ર રેલ કામગીરીમાં સુગમતા અને કાર્યક્ષમતામાં વધારો કરાયો.

“ફાટક મુકત ગુજરાત” અભિયાન

મુસાફરોની સુવિધા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રેલવે બોર્ડ દ્વારા ભાવનગર મંડળ પર વિવિધ બાંધકામ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં આશરે રૂ. 350 કરોડ ખર્ચાશે. આ કાર્યોમાં લિમિટેડ હાઇટ સબવે/રોડ અન્ડર બ્રિજ અને અન્ય સ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ કાર્યોનો સમાવેશ થાય છે.ભાવનગર મંડળના ઢસા–રાજુલા, રાજુલા–મહુવા, કાનાલુસ–પોરબંદર, જેતલસર–વાંસજાલિયા, રાજકોટ–જેતલસર, સુરેનદ્રનગર–ધોળા અને સાબરમતી–બોટાદ સેકશનોમાં અનેક લેવલ ક્રોસિંગ દૂર કરીને RUBનું નિર્માણ કરવામાં આવશે. હાલમાં ભાવનગર મંડળમાં 238 લિમિટેડ હાઇટ સબવે/રોડ અન્ડર બ્રિજ ઉપલબ્ધ છે. આ સિવાય 40 નવા બ્રિજ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે અને જલ્દી જ બાંધકામ કાર્ય શરૂ થઈ જશે.


  • Follow us on: