ધોરડો ગામના 80થી વધુ રહેણાકમાં કુલ 177 કિલોવોટ ક્ષમતાના સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. સોલારથી દરેક વીજ વપરાશકર્તાને વાર્ષિક રૂ.16 હજારથી વધુનો આર્થિક લાભ થવાનો થશે. યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે.


કચ્છનું ધોરડો ગામ સોલાર વિલેજ બન્યું

આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગર ખાતે આયોજિત કાર્યક્રમમાંથી ધોરડો સોલાર વિલેજનું ઈ-લોકાર્પણ કર્યું હતું. મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી ગામ બાદ, ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું છે. પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજના હેઠળ ધોરડો ગામના 100% રહેણાંક હેતુના વીજજોડાણોનું સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. આ કામગીરીના લીધે સોલાર રૂફટોપની રાજ્યની ક્ષમતામાં વધારો થવાની સાથે ધોરડોના રહેણાંક ઘરો પોતાની વીજળી ઉત્પન્ન કરવા માટે સક્ષમ બનશે.

પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના

આ પ્રોજેક્ટ થકી ધોરડોના 81 રહેણાંક ઘર માટે 177 કિલોવોટની સોલાર રૂફટોપ કેપેસિટી મળશે. આ પ્રોજેક્ટથી ગામના દરેક વીજ વપરાશકર્તાને વાર્ષિક રૂ. 16064 નો આર્થિક લાભ થવાનો અંદાજ છે અને વાર્ષિક 2 લાખ 95 હજાર યુનિટ ઉત્પાદનની સંભાવના છે. આ યોજનાના લીધે ગ્રામજનોને વીજળીના બિલમાં બચત થવાની સાથે વધારાના યુનિટના લીધે પણ આવક થશે. દર વર્ષે વીજળીમાં બચત અને વધારાના યુનિટના વેચાણથી કુલ રૂ.13 લાખથી વધુનો લાભ થવાની સંભાવના છે. 

  • Follow us on: