આજે અષાઢી બીજના રોજ કચ્છીઓનું નવું વર્ષ ઉજવાય છે. ત્યારે આજે ભગવાનની રથયાત્રા અને નવા વર્ષની ઉજવણી વચ્ચે કચ્છમાં સતત બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. જિલ્લામાં ફરી એકવાર ભૂકંપના બે ઉપરાઉપરી આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં ફફડાટ મચી ગયો છે.કચ્છના સરહદી વિસ્તાર એવા ખાવડા અને ઐતિહાસિક ધરોહર ધરાવતા ધોળાવીરા પંથકમાં ગણતરીની મિનિટોના અંતરે જ ધરતી ધ્રૂજી ઉઠી હતી. બપોરના સમયે આવેલા આ બે આંચકાઓને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

ખાવડા વિસ્તારમાં બપોરે 2.20 કલાકે આંચકો નોંધાયો

પ્રથમ આંચકો કચ્છના ખાવડા વિસ્તારમાં બપોરે 2.20 કલાકે નોંધાયો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી હતી.ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર,આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી અંદાજે 32 કિલોમીટર દૂર નોંધાયું હતું.આંચકો સામાન્ય કરતાં વધુ તીવ્ર હોવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેની અસર વર્તાઈ હતી.

ભૂકંપનો બીજો આંચકો ધોળાવીરા પાસે નોંધાયો

આ ઘટનાના માત્ર બે જ મિનિટ બાદ એટલે કે બપોરે 2.22 કલાકે કચ્છમાં ભૂકંપનો બીજો આંચકો ધોળાવીરા પાસે નોંધાયો હતો.આ બીજા આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2ની રહેવા પામી હતી અને તેનું કેન્દ્રબિંદુ પણ ધોળાવીરાથી 32 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે.સદનસીબે આ બંને આંચકાઓ પાછળ કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી પરંતુ બે મિનિટમાં બે આંચકા આવતા તંત્ર અને નાગરિકો બંને સાબદા બન્યા છે.

આ પણ વાંચોઃ Kutch: રાપરમાં કચ્છી નવા વર્ષ અને ભવ્ય રથયાત્રા વચ્ચે મેઘરાજાની શુકનવંતી પધરામણી