વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃત્યુઆંક 17 પર પહોંચ્યો છે. આજે નદીમાંથી ચાર મૃતદેહો બહાર કઢાયા છે. ગઈકાલે શોધખોળ દરમિયાન 13 મૃતદેહો મળ્યા હતાં. હજુ પણ કાટમાળ નીચે મૃતદેહ હોવાની આશંકા છે. આ ઘટનામાં મહિસાગર નદીમાં છેલ્લા 38 કલાકથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. લોકોએ મહિસાગર નદીના પટમાં રેસ્ક્યૂ ઓપરેશન માટે નદીને પ્રાર્થના કરી છે.


હવે ફક્ત સર્ચ ઑપરેશન હાથ ધરાશે

જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ કહ્યું હતું કે, હજુ ત્રણ વ્યક્તિઓ લાપતા છે. નદીમાંથી બે દિવસમાં કૂલ 17 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યાં છે. 5 દર્દી ઈજાગ્રસ્ત હોવાથી સારવાર હેઠળ છે. આજે બુલેટ ટ્રેનની ટીમ પણ રેસ્ક્યુમાં જોડાઈ છે. હેવી કેબલથી મહાકાય ટ્રકોને હટાવવામાં આવી છે. પૂનમની ભરતી હોવાથી પાણીનું સ્તર વધશે. હવે ફક્ત સર્ચ ઑપરેશન હાથ ધરાશે.

માર્ગ અને મકાન વિભાગના ચાર અધિકારીઓને ફરજ મોકૂફ કર્યા

આ ઘટનામાં રાજય સરકારે માર્ગ અને મકાન વિભાગના ચાર અધિકારીઓને ફરજ મોકૂફ કર્યા છે. નિષ્ણાંતોની ટીમ દ્વારા દુર્ઘટના સ્થળની જાત મુલાકાત કરાયા બાદ આ દુર્ઘટનાના કારણોના પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે આ દુર્ઘટનામાં જવાબદાર જણાયેલાં અધિકારીઓ એન. એમ. નાયકાવાલા, કાર્યપાલક ઇજનેર, યુ.સી.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર અને આર.ટી.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર તથા જે.વી.શાહ, મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી હેઠળ મૂકવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.


  • Follow us on: