વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટવાની ઘટનામાં મૃત્યુઆંક 16 થયો છે.આજે શોધખોળ કરતાં વધુ ત્રણ મૃતદેહો મળી આવ્યાં છે. ગઈ કાલે 13 મૃતદહો મળી આવ્યા હતાં. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયા હતાં. હજુ પણ નદીમાં શોધખોળ યથાવત છે. ત્યારે જંબુસરના કહાનવા ગામનો યુવાન ગુમ થયો હતો. તેને મૃતદેહ મહિસાગર નદીમાંથી મળી આવ્યો છે.


બ્રિજ દુર્ઘટનામા જંબુસરના બે લોકોના મોત થયાં

પ્રાપ્ત વિગતો પ્રમાણે પાદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામા જંબુસરના બે લોકોના મોત થયાં છે. જંબુસરના કહાનવા ગામનો યોગેશ ચૌહાણ નામનો યુવક નોકરી માટે ઈન્ટરવ્યૂ આપવા માટે ગયો હતો. જે પરત નહીં ફરતા તેની શોધખોળ હાથ ધરાઈ હતી. આ યુવક ગુમ થવાથી તેના પરિવારજનો પણ ચિંતમાં સરી પડ્યા હતાં.પરંતુ આ યુવાન બ્રિજ દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. આ યુવાનનો મૃતદેહ મહિસાગર નદીમાં શોધખોળ દરમિયાન મળી આવ્યો છે.

બ્રિજ તૂટી પડતા અનેક વાહનો નદીમાં ખાબક્યા હતાં

ગઈકાલે બ્રિજ તૂટી પડતા અનેક વાહનો નદીમાં ખાબક્યા હતાં. હજુ પણ મહિસાગર નદીમાં શોધખોળ યથાવત છે. મોડી રાત્રે રેસ્કયૂ ઓપરેશન અટકાવાયુ હતું. નદીમાં પાણીનો પ્રવાહ વધતા રેસ્ક્યૂ ઓપરેશન અટકાવાયુ હતું. આજે ફરીવાર રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. આ કામગીરીમાં 10 એજન્સીઓ કામે લાગી છે. રાજ્ય સરકારે પણ ઘટનાનો રીપોર્ટ તાત્કાલિક સબમીટ કરવા કહ્યું છે.


  • Follow us on: