વડોદરા જિલ્લાના પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડવાની ભયાનક દુર્ઘટનામાં 21 નિર્દોષ લોકોના ભોગ લેવાયાના ચોથા દિવસે આખરે પાદરા પોલીસે ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી છે. આ ઘટનામાં સરકારની ટીમ સાથે હવે પોલીસ પણ અલગથી સમાંતર તપાસ હાથ ધરશે.


પાદરા પોલીસે તપાસ શરૂ કરી

આ દિલ કંપાવી દે તેવી દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે, ત્યારે ચાર દિવસના વિલંબ બાદ પોલીસે ગુનો નોંધતા પીડિત પરિવારો અને સ્થાનિકોમાં થોડી રાહત થઈ છે. પાદરા પોલીસે આ મામલે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. ખાસ કરીને, બ્રિજ તૂટ્યો તે સમયે ટ્રક અને અન્ય ભારે વાહનો એક સ્થળે મોટી સંખ્યામાં શા માટે એકત્ર થયા હતા તે મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.

જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે

આ ઘટના માત્ર એક અકસ્માત નહીં, પરંતુ વહીવટી અને ઇજનેરી બેદરકારીનો જીવતો જાગતો પુરાવો છે. પોલીસે આ મામલે જવાબદાર વ્યક્તિઓ અને સંસ્થાઓને શોધી કાઢવા માટે સઘન પ્રયાસો હાથ ધર્યા છે. આ તપાસમાં બ્રિજનું નિર્માણ કાર્ય, તેની જાળવણી, ઓવરલોડિંગની સમસ્યા અને નિયમોના ઉલ્લંઘન જેવા તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. આશા રાખીએ કે પોલીસની આ સઘન તપાસ નિર્દોષોના મૃત્યુ માટે જવાબદાર તમામ લોકોને કાયદાના કઠેડામાં ઉભા કરશે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે યોગ્ય પાઠ ભણાવશે.



  • Follow us on: