અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો (IndiGo) એરલાઇન્સની ફ્લાઇટ રદ્દ થવાની સમસ્યા યથાવત રહી છે, જેના કારણે મોટી સંખ્યામાં મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. મળતી માહિતી મુજબ, ઘણા મુસાફરો છેલ્લા 24 કલાકથી એરપોર્ટ પર અટવાયેલા છે. ફ્લાઇટ રદ્દ થતાં મુસાફરોને ઇન્ડિગો દ્વારા અન્ય ફ્લાઇટ ફાળવવામાં આવી હતી, પરંતુ દુર્ભાગ્યવશ તે વૈકલ્પિક ફ્લાઇટ પણ રદ્દ થતાં મુસાફરોની મુશ્કેલી બેવડાઈ છે.
મુસાફરોનો આક્રોશ
મુસાફરોનો આક્ષેપ છે કે, ઇન્ડિગો એરલાઇન્સ તરફથી તેમને કોઈ યોગ્ય અને સંતોષકારક જવાબ મળી રહ્યો નથી. આ ઉપરાંત, અટવાયેલા મુસાફરોને એરપોર્ટમાં પ્રવેશ પણ આપવામાં આવી રહ્યો નથી, જેના કારણે તેમને બહારના વિસ્તારમાં રાહ જોવી પડી રહી છે. મુસાફરોએ તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવા અને તેમને યોગ્ય વ્યવસ્થા પૂરી પાડવા માંગ કરી છે.













