ધ્રાંગધ્રા શહેરના પુનિતનગર વિસ્તારમાં 15 દિવસ પહેલા બનેલી એક ઘટનાએ હવે નવો વળાંક લીધો છે. 4 વર્ષીય માસૂમ બાળક કાર્તિક ફારુકભાઈ એસવાડિયાનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યા બાદ, તેની હત્યા થઈ હોવાની આશંકા સેવાતા પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે ધ્રાંગધ્રા સીટી પી.આઈ. અને મામલતદારની પ્રત્યક્ષ હાજરીમાં બાળકની લાશને કબ્રસ્તાનમાંથી બહાર કાઢવામાં આવી હતી.
પાણીમાં ડૂબવાની થિયરી પર શંકા
ઘટનાની વિગત એવી છે કે 15 દિવસ પહેલા કાર્તિકનું મોત પાણીના ટાંકામાં ડૂબી જવાથી થયું હોવાનું સામે આવ્યું હતું અને તે સમયે પરિવારે તેને દફનાવી દીધો હતો. જોકે, ત્યારબાદ આ મોત અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાની આશંકા પ્રબળ બનતા પોલીસ હરકતમાં આવી હતી. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી આજે કબ્રસ્તાનમાંથી મૃતદેહને બહાર કાઢી ઊંડી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.













