ગુજરાતમાં વ્યાજખોરી સામે પોલીસની કડક એક્શન હોવા છતાં રોજબરોજ પઠાણી ઉઘરાણી અને તગડું વ્યાજ વસૂલવા અંગેની ફરિયાદો સામે આવી રહી છે. બેફામ બનેલા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં તેમની પર કાયદાનો ડર હોય તેવી કોઈ અસર જોવા મળતી નથી.અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણી વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે.ફરિયાદીએ પોતાની જરૂરિયાત માટે રૂપિયા 12 લાખ વ્યાજે લીધા હતા જેના બદલામાં તેમણે તબક્કાવાર કુલ રૂપિયા 25 લાખ જેવી જંગી રકમ ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરોનું પેટ ભરાયું ન હતું. 

ફરિયાદીએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

આટલી મોટી રકમ વસૂલ કર્યા પછી પણ આરોપી વિક્રમ દેસાઈ અને જયેશ દેસાઈ દ્વારા ફરિયાદી પાસે 10 ટકા લેખે માસિક વ્યાજ અને મૂળ મૂડી પરત આપવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું.એટલું જ નહીં, આરોપીઓએ સુરક્ષાના નામે ફરિયાદી પાસેથી અગાઉથી જ મેળવી લીધેલા 4 કોરા ચેકનો ગેરઉપયોગ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી.આ પઠાણી ઉઘરાણી અને ત્રાસથી કંટાળીને આખરે ફરિયાદીએ રાણીપ પોલીસ સ્ટેશનમાં વિક્રમ દેસાઈ અને જયેશ દેસાઈ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.રાણીપ પોલીસે આ મામલે ગુનો નોંધીને બંને આરોપીઓ સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

વ્યાજખોરો સામે લોક દરબારનું આયોજન કરાય છે

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં નાગરિકોને વ્યાજચક્રમાંથી મુક્ત કરાવવા અને ગેરકાયદેસર રીતે નાણાં ધીરનારા સામે ગુજરાત પોલીસ અને ગૃહ વિભાગ દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છેય.ગૃહ રાજ્યમંત્રીની સૂચનાથી રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં લોક દરબારનું આયોજન કરવામાં આવે છે. જેમાં સામાન્ય નાગરિકો પોલીસ સમક્ષ સીધા આવીને પોતાની આપવીતી જણાવી શકે છે અને વ્યાજખોરો સામે વિના સંકોચે ફરિયાદ કરી શકે છે. ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કડક ધારાઓ હેઠળ વગર લાઈસન્સે વ્યાજનો ધંધો કરતા કે નિર્ધારિત દર કરતાં વધુ વ્યાજ વસૂલતા ઈસમો સામે FIR નોંધી તેમની અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ   Chhota Udepur News: કુસુમ સાગર તળાવમાંથી પ્રાથમિક શાળાના શિક્ષકનો મૃતદેહ મળ્યો