અમદાવાદ શહેરમાં ધાર્મિક કાર્યમાં દાન આપવાના નામે એક વેપારી સાથે રૂ. 21.79 લાખની મોટી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો સણસણતો કિસ્સો સામે આવ્યો છે. ઠગબાજે પોતાની ઓળખ પાલડી ખાતે આવેલા જાણીતા જૈન ઉપાશ્રયમાંથી બોલતા હોવાની આપી હતી. ધાર્મિક કાર્ય માટે દાનની જરૂરિયાત હોવાનું કહીને વેપારીને વિશ્વાસમાં લીધા હતા અને તબક્કાવાર રીતે કુલ રૂ. 21 લાખ 79 હજારની મોટી રકમ પડાવી લીધી હતી.
તેજસ શાહ નામના શખ્સ સામે ફરિયાદ
આ સમગ્ર છેતરપિંડી મામલે ઠગાઈનો ભોગ બનેલા વેપારીને જ્યારે પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનો અહેસાસ થયો, ત્યારે તેમણે તુરંત જ પોલીસનો સંપર્ક કર્યો હતો. બનાવ અંગે અમદાવાદના આનંદનગર પોલીસ મથકમાં તેજસ શાહ નામના શખ્સ સામે વિધિવત રીતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે વેપારીની ફરિયાદના આધારે ગુનો નોંધીને આરોપી તેજસ શાહને ઝડપી પાડવા માટે તપાસ ચક્ર ગતિમાન કર્યા છે.
