અમદાવાદ સ્થિત જાણીતી જ્વેલર્સ પેઢી 'SRK JEWELS' સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ચેન્નાઈની 'અભીસ જેમગ્લો જ્વેલર્સ' (Abhis Gemglow Jewellers) ના ભાગીદારોએ વિશ્વાસ કેળવીને SRK JEWELS પાસેથી કરોડો રૂપિયાના મૂલ્યવાન દાગીના ખરીદ્યા હતા. જોકે, દાગીના મેળવી લીધા બાદ નિશ્ચિત સમયગાળામાં પેમેન્ટ ન ચૂકવીને આ કૌભાંડીઓએ કરોડો રૂપિયાની ઠગાઈ આચરી હતી.

4 ઠગબાજ વેપારીઓ સામે નોંધાઈ ફરિયાદ

આ કૌભાંડમાં ચેન્નાઈની અભીસ જેમગ્લો જ્વેલર્સના ભાગીદારોએ ચાલાકીપૂર્વક કુલ રૂ. 1.56 કરોડની કિંમતના દાગીના મેળવી લીધા હતા. નક્કી થયેલી સમયમર્યાદા પૂરી થવા છતાં અને વારંવાર ઉઘરાણી કરવા છતાં નાણાં ચૂકવવાના બદલે બહાના બતાવવામાં આવ્યા હતા. છેવટે પોતાની સાથે ગંભીર છેતરપિંડી થઈ હોવાનું જણાતાં SRK JEWELS ના સંચાલકોએ 4 ઠગબાજ વેપારીઓ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

આર્થિક ગુના નિવારણ શાખા (EOW) એ હાથ ધરી તપાસ

કરોડો રૂપિયાના આ હાઈ-પ્રોફાઈલ છેતરપિંડીના મામલામાં અમદાવાદની આર્થિક ગુના નિવારણ શાખા (Economic Offences Wing - EOW) એ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. EOW ની ટીમ દ્વારા આરોપી વેપારીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જ્વેલરી માર્કેટમાં આટલી મોટી રકમની ઠગાઈનો મામલો સામે આવતાં વેપારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો : Vadodara News : સાવલીની મીના સર્કિટ કંપનીમાં રૂ. 95.65 લાખની ઉચાપત, એકાઉન્ટન્ટ અલ્પેશ પટેલ સામે ગુનો દાખલ