અમદાવાદમાં ચોરી અને લૂંટની ઘટનાઓ સતત વધી રહી છે. ચોરીની ઘટનાઓ વધતાં પોલીસના પેટ્રોલિંગ પર સવાલો ઉભા થયાં છે. હાલમાં જૈન સમાજનો પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે. આ પર્વ દરમિયાન શહેરના વેજલપુર વિસ્તારમાં જૈન મંદિરમાંથી શાંતિનાથ ભગવાનની ચાંદીની મૂર્તિની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. વેજલપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


તસ્કરોએ દેરાસરમાં રહેલા છત્રની પણ ચોરી કરી લીધી

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં મકરબાના પાર્શ્વ શ્વેતાંબર દેરાસરમાં તસ્કરો ત્રાટક્યા હતાં. તસ્કરોએ દેરાસરના ગર્ભગૃહની લોખંડની ગ્રીલ તોડી હતી. આ ગ્રીલ તોડ્યા બાદ તેઓ દેરાસરમાં પ્રવેશ્યા હતાં અને શાંતિનાથ ભગવાનની ચાંદીની મૂર્તિની ચોરી કરી હતી. આ ઉપરાંત ત્રણ દાનપેટી અને મહાવીર સ્વામિની મૂર્તિની પણ ચોરી કરી હતી. તસ્કરોએ દેરાસરમાં રહેલા છત્રની પણ ચોરી કરી લીધી હતી.

તસ્કરોએ કૂલ 7.67 લાખ રૂપિયાની ચોરી કરી

જૈન દેરાસરમાંથી તસ્કરોએ કૂલ 7.67 લાખ રૂપિયાની ચોરી કરી હતી. દેરાસરના ટ્રસ્ટીઓએ આ અંગે વેજલપુર પોલીસમાં ફરિચાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પર્યુષણ પર્વ દરમિયાન જ દેરાસરમાંથી ભગવાનની મૂર્તિની ચોરી થતાં જૈન સમાજમાં રોષ ફેલાયો છે. આગામી સમયમાં સંવત્સરીનો પર્વ આવી રહ્યો છે. ત્યારે દેરાસરો સુરક્ષિત નથી રહ્યાં તે માટે જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.


  • Follow us on: