અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આપઘાતની એક અત્યંત ચકચારી ઘટના સામે આવી છે. વસ્ત્રાપુર ખાતે આવેલા જાણીતા 'હિમાલયા આર્કેડ' નામના કમર્શિયલ કોમ્પ્લેક્ષના ચોથા માળેથી એક અજાણ્યા યુવકે અચાનક જ નીચે છલાંગ લગાવી દીધી હતી. ઊંચાઈ પરથી નીચે પટકાતાં જ યુવકનું ઘટનાસ્થળે જ અત્યંત દર્દનાક મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે કોમ્પ્લેક્ષમાં હાજર વેપારીઓ અને રાહદારીઓમાં ભારે અફરાતફરી સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી.
આપઘાત કરતા પહેલા 3 કલાક કોમ્પ્લેક્ષમાં ફરતો રહ્યો યુવક
આ આપઘાતની ઘટનાના લાઈવ CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. CCTV ફૂટેજની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી છે કે આત્મહત્યા કરનાર યુવક પોતાનું અંતિમ પગલું ભરતા પહેલા છેલ્લા 3 કલાકથી હિમાલયા આર્કેડ કોમ્પ્લેક્ષમાં સતત આંટાફેરા મારી રહ્યો હતો. યુવક કોમ્પ્લેક્ષની અલગ-અલગ ગેલેરી અને પેસેજમાં વિચારમગ્ન અવસ્થામાં ફરતો નજરે પડ્યો હતો, જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે કોઈ ગંભીર માનસિક તણાવમાં હતો.
