અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના મેમર ગામના પાટીયા નજીક આવેલા બ્રિજ પાસે અને કેનાલના કિનારેથી એક યુવકની સળગાવેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે. મૃતકની ઓળખ મેમર ગામના જ વતની અને આશરે 23 વર્ષીય યુવક કિશનભાઇ મોબતભાઈ ચૌહાણ તરીકે થઈ છે. યુવક છેલ્લા બે દિવસથી ભેદી સંજોગોમાં ગુમ હતો અને આજે તેની અર્ધસળગેલી હાલતમાં લાશ મળી આવતાં રાહદારીઓ તથા ગ્રામજનોના મોટા ટોળેટોળાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.

બગોદરા પોલીસ, DYSP, LCB અને FSL સહિતનો કાફલો ઘટનાસ્થળે

ઘટના અંગેની જાણ થતાં જ બગોદરા પીઆઈ (PI), ડીવાયએસપી (DYSP), એલસીબી (LCB) શાખા, એફએસએલ (FSL) ની ટીમ તેમજ ડોગ સ્ક્વોડ સહિતનો વિશાળ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ યુવકની નિર્મમ હત્યા કર્યા બાદ ઓળખ છુપાવવા તથા પુરાવાનો નાશ કરવાના હેતુથી મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. FSL અને નિષ્ણાત ટીમોએ ઘટનાસ્થળેથી મહત્વના પુરાવાઓ એકત્રિત કર્યા છે.

ફોરેન્સિક PM માટે મૃતદેહ ખસેડાયો, પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી

પોલીસ દ્વારા મૃતદેહનો કબજો મેળવીને તેને વિધિવત ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (FSL PM) અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો છે. આ ચકચારી ઘટના પાછળ કોનો હાથ છે અને યુવકની હત્યા પાછળનું સાચું કારણ શું છે, તે દિશામાં બગોદરા પોલીસ અને LCB દ્વારા અલગ-અલગ તપાસ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. 23 વર્ષીય આશાસ્પદ યુવકના રહસ્યમય મોતને પગલે મેમર ગામમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.

આ પણ વાંચો : Suratના કામરેજમાં તાપી નદી કિનારે સુરક્ષા દીવાલનું કામ પૂર્ણ, માત્ર 30 દિવસમાં પાળો તૈયાર, પરિવારોને પૂરના ભયથી મોટી રાહત!