ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા ઝડપાયેલા આતંકી ડો. અહેમદ સૈયદને લઈને મોટા ખુલાસાઓ થયા છે. ATSની તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકી ડો. અહેમદ સૈયદ એક વખત દિલ્હી ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, તે જુલાઈ મહિનામાં દિલ્હી ગયો હતો. આતંકીના દિલ્હી કનેક્શનની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ગુજરાત ATSની ટીમ ડો. અહેમદ સૈયદને લઈને દિલ્હી પહોંચી છે. ATSની ટીમ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે દિલ્હીમાં તે ક્યાં રોકાયો હતો અને સૌથી મહત્ત્વનું કે તે કયા લોકો અથવા સંગઠનોના સંપર્કમાં આવ્યો હતો અને કોને મળ્યો હતો.
ગુજરાત ATSની ત્રણ રાજ્યોમાં તપાસ
ડો. અહેમદ સૈયદના આતંકવાદી નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ગુજરાત ATSએ પોતાની તપાસનો વ્યાપ વધાર્યો છે. આતંકીના દિલ્હી પ્રવાસ બાદ તેના દ્વારા અન્ય રાજ્યોમાં થયેલી ગતિવિધિઓની શંકાના આધારે ATSની ટીમો હવે દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ (યુપી) અને રાજસ્થાનમાં પણ સમાંતર તપાસ કરી રહી છે. આ ત્રણેય રાજ્યોમાં ડો. સૈયદના સંભવિત સંપર્કો, છુપાયેલા સ્થળો અથવા અન્ય કોઈ મદદગારોની શોધખોળ કરવામાં આવી રહી છે. ATSનો હેતુ આતંકવાદી સંગઠનની સમગ્ર ચેઈનનો પર્દાફાશ કરવાનો છે.













