સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા બંધુઓ સામે નોંધાયેલી કરોડો રૂપિયાની ઠગાઈ અને ડોક્યુમેન્ટમાં ચેડાં કરવાની ફરિયાદ મામલે હાઈકોર્ટે ઝટકો આપ્યો છે. ગજેરા બંધુઓ અને અન્ય આરોપીઓ દ્વારા એફઆઈઆર રદ કરવાની માગણીની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે આ મામલે પોલીસ તપાસમાં પણ હસ્તક્ષેપ કરવા અંગે ઈનકાર કરી દીધો છે. જેથી ગજેરા બંધુઓ સામેની તપાસ યથાવત રહેશે.

ગજેરા બંધુઓ સામે તપાસ યથાવત રહેશે

સુરતમાં ગજેરા બંધુઓ અને અન્ય આરોપીઓ પર ફરિયાદમાં 1900 રૂપિયાની આર્થિક ગેરરીતિ અને મનિ લોન્ડરિંગ સહિત ફરિયાદીના પરિવારની ખોટી સહી કરવાના ગંભીર આક્ષેપો થયા હતાં. ત્યાર બાદ તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી. હવે આરોપી અરજદારોએ આ ફરિયાદને દિવાની વિવાદ ગણાવી રદ કરવા કોર્ટમાં દલીલ કરી હતી. પરંતુ કોર્ટે તેમની આ દલીલ માન્ય રાખી નહોતી. કોર્ટે એવું અવલોકન કર્યું હતું કે, જ્યારે હેન્ડરાઈટિંગ એક્સપર્ટનો રિપોર્ટ અરજદારોની વિરોધમાં હોય અને પ્રાથમિક રીતે ગુનો સાબિત થાય ત્યારે તપાસનો વિલંબ ગૌણ બને છે.

તપાસને અટકાવવી ન્યાયના હિતમાં નથી

આરોપીઓના વકીલે દલીલ કરી હતી કે, આ ફરિયાદ માત્ર બદલો લેવા અને પૈસા પડાવવા માટે કરવામાં આવી છે. આરોપી અરજદારોનો મેહુલ ચોકસી સાથે કોઈ ગેરકાયદે સંબંધ સાબિત થતો નથી. હાઈકોર્ટે કહ્યું હતું કે, ઠગાઈના પુરતા પુરાવા હોવાથી તપાસને અટકાવવી ન્યાયના હિતમાં નથી. કોર્ટે તેમની ફરિયાદ રદ કરવાની અરજીને ફગાવી દીધી હતી. જેથી હવે ગજેરા બંધુઓને તપાસ અને કાર્યવાહીનો સામનો કરવો પડે એમ છે.


આ પણ વાંચોઃ Kutchના નાના રણમાં કુદરતનો પ્રકોપ, ભારે પવન સાથે માવઠું