અમદાવાદના અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારના ભાત ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં એક પતિએ પોતાની પત્નીની હત્યા કરી નાખી છે. આરોપી પતિ વિક્રમ રાવળ પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને તેને અવારનવાર મારઝૂડ કરતો હતો. આખરે બોલાચાલી ઉગ્ર બનતા તેણે પોતાની પત્નીને ગાળો ફાંસો આપીને હત્યા કરી નાખી.
પતિએ પત્નીને ગાળો ફાંસો આપી હત્યા નિપજાવી
આ ગુનાને છુપાવવા માટે આરોપી પતિએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પોલીસને જાણ કરી હતી કે તેની પત્નીએ આત્મહત્યા કરી લીધી છે. જોકે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પરિસ્થિતિ કંઈક અલગ જ હતી. મૃતદેહ નિર્વસ્ત્ર હાલતમાં હતો અને તેના શરીર પર ઈજાના નિશાનો પણ જોવા મળ્યા હતા. જે આત્મહત્યાના કેસમાં સામાન્ય રીતે જોવા મળતા નથી. પોલીસને શંકા જતાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને મૃતકના પતિ વિક્રમ રાવળની સઘન પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન પતિએ ગુનો કબૂલ કરી લીધો હતો.













