અમદાવાદમાં હત્યાના બનાવો બેફામ પણે વધી રહ્યાં છે. અદાવત અને પ્રેમ પ્રકરણમાં હત્યાના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદના પાલડીમાં આજે વહેલી પરોઢે એક યુવકની હત્યાનો બનાવ બન્યો છે. પાલડીના ભઠ્ઠા વિસ્તારમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. નંબર પ્લેટ વિનાની કારમાં આવેલા લોકોએ યુવકને કારથી ટક્કર મારી હતી. ત્યાર બાદ છરીના ઘા મારીને તેનું ઢીમ ઢાળી દીધું હતું. સમગ્ર ઘટનામા પાલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જૂની અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા
આ હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. મૃતક નૈસલ ઠાકોરે 2016માં એક હત્યા કરી હોવાની અદાવતમાં તેની હત્યા કરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. હત્યા બાદ મૃતક અને સામે વાળાને સમાધાન થયું હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. પાલડી પોલીસ સ્ટેશનથી 200 મીટર દૂર નૈસલ ઠાકોરની હત્યા કરવામાં આવી છે.આરોપીઓએ કારથી ટક્કર મારી તેને છરીના ઘા માર્યા હતાં. આઠ હત્યારાઓએ સંખ્યાબંધ ઘા મારી હત્યા નિપજાવી હતી. મૃતકના સંબંધીઓએ કહ્યું હતું કે, જૂની અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા છે. ન્યાય મળે તેવી પોલીસ પાસે અપેક્ષા રાખીએ છીએ.આ કેસ અંગે DCP શિવમ વર્માએ કહ્યું હતું કે, પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. હત્યાની જાણ થતાં જ પોલીસ પહોંચી હતી. જૂની અદાવતમા હત્યા કરાઈ હોવાનું અનુમાન છે.













