નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા દેશના વિવિધ ભાગોમાં સરકારી વેબસાઈટોને નિશાન બનાવી સાયબર હુમલા કરવાના ગંભીર ષડયંત્ર મામલે લાલ આંખ કરવામાં આવી છે.સાયબર ટેરર કેસની ચાલી રહેલી તપાસના ભાગરૂપે NIA દ્વારા ગુજરાતના નડિયાદ સહિત દેશના પાંચ રાજ્યોમાં એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધરી દરોડા પાડવામાં આવ્યા છે.આ દરોડા ગુજરાતના નડિયાદ ઉપરાંત પુણે,તેલંગાણા,બિહાર અને દિલ્હીમાં આવેલા વિવિધ સ્થળો પર પાડવામાં આવ્યા છે.

લોજિસ્ટિક ટેકો આપનારા શખ્સોની ઓળખ

એજન્સીની તપાસમાં મોટો ખુલાસો થયો છે કે આ સાયબર તસ્કરોએ 'ઓપરેશન સિંદૂર'દરમિયાન દેશની 54 જેટલી સરકારી વેબસાઇટો પર DDoS એટેક કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.સાયબર એટેક માટે હેકર્સને મદદ પૂરી પાડનારા અને લોજિસ્ટિક ટેકો આપનારા શખ્સોની ઓળખ કરી લેવાયા બાદ આ દરોડા પાડવામાં આવ્યા હતા.દરોડા દરમિયાન તપાસ ટીમોએ ઘટનાસ્થળેથી 3 લેપટોપ,5 મોબાઇલ ફોન,પેન ડ્રાઇવ અને અન્ય મહત્વપૂર્ણ ડિજિટલ પુરાવા કબજે કર્યા છે.

NIA દ્વારા વધુ તપાસ તેજ કરવામાં આવી 

આ સાયબર એટેકના કાવતરા સંદર્ભે અગાઉ ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS)માં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તપાસ દરમિયાન બે આરોપીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે. આ કેસની ગંભીરતા અને દેશની સુરક્ષા સાથે જોડાયેલી બાબતોને ધ્યાનમાં રાખીને તેની તપાસ NIAને સોંપવામાં આવી હતી. હાલમાં જપ્ત કરાયેલા ડિજિટલ સાધનોને ફોરેન્સિક તપાસ અર્થે મોકલીને આ સાયબર નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે NIA દ્વારા વધુ તપાસ તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Junagadh: પ્લાસ્વામાં ગેરકાયદેસર સિંહ દર્શનનું કૌભાંડ ખુલ્લું પડ્યું, વન વિભાગની ટીમે દરોડો પાડી સાત યુવાનોને ઝડપી લીધા