અમદાવાદ શહેરમાં આગામી સમયમાં યોજાનારી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને લઈને પોલીસ તંત્ર એલર્ટ પર છે, ત્યારે અસામાજિક તત્વો અને નશાના સોદાગરો સામે એન્ટી-નાર્કોટિક્સ ડ્રાઇવ તેજ કરવામાં આવી છે. આ જ ઝુંબેશ અંતર્ગત અમદાવાદ એસઓજીની ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, વેજલપુર વિસ્તારમાં રહેતો ઇકબાલ ઉર્ફે શાહરૂખ ગુફ્ફારભાઈ શેખ નામનો ઇસમ પોતાના મકાનમાં મોટા પાયે નશાકારક પદાર્થનો જથ્થો છુપાવીને રાખે છે અને ત્યાંથી નાના ગ્રાહકો તથા છૂટક વેપારીઓને વેચવા માટે ગાંજાની નાની-નાની પડીકીઓ (પોકેટ) તૈયાર કરી રહ્યો છે. બાતમીના આધારે SOG ની ટીમે આઇડેન્ટિફાઇડ મકાન પર ઓચિંતો દરોડો પાડ્યો હતો.
FSL ટેસ્ટ અને કબ્જે કરાયેલો માલસામાન
પોલીસ સર્ચ ઓપરેશન દરમિયાન મકાનમાંથી શંકાસ્પદ વનસ્પતિજન્ય પદાર્થનો મોટો જથ્થો મળી આવ્યો હતો. કાયદાકીય પ્રક્રિયાને મજબૂત કરવા માટે પોલીસે તાત્કાલિક એફએસએલના વૈજ્ઞાનિકોને ઘટનાસ્થળે બોલાવ્યા હતા. એફએસએલની હાજરીમાં કરવામાં આવેલા પ્રાથમિક કેમિકલ પરીક્ષણમાં આ જથ્થો પ્રતિબંધિત નાર્કોટિક્સ 'ગાંજો' હોવાનું પ્રમાણિત થયું હતું, જેનું કુલ વજન 7.120 કિલોગ્રામ નોંધાયું હતું. આ ઉપરાંત, મકાનની તલાશી લેતા પોલીસને ડ્રગ મની હોવાની આશંકા ધરાવતી 25 લાખની અધધ રોકડ રકમ પણ મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી નાર્કોટિક્સ ડિજિટલ વજન કાંટો, કટર, પેકિંગ મટીરીયલ, મોબાઇલ ફોન તેમજ આરોપીની ઓળખ માટેના જરૂરી દસ્તાવેજો કબ્જે લીધા છે.
