ગુજરાતભરમાં ભારે ખળભળાટ મચાવનાર તથ્ય પટેલના ઇસ્કોન બ્રિજ પર 141.27 કિલોમીટરની સ્પીડે ગાડી હંકારી નવ લોકોને કચડી નાખી મોતને ઘાટ ઉતારવાના ચકચારભર્યા કેસમાં સુપ્રીમ કોર્ટેના જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ સતીષ ચંદ્ર શર્માની ખંડપીઠે આખરે તથ્ય પટેલને જામીન પર મુક્ત કર્યો છે. 20મી જુલાઈ 2023ના રોજ તથ્ય પટેલની ધરપકડ કરી ત્યારથી તે જેલમાં હતો. આશરે 1,032 દિવસ જેલમાં રહ્યા બાદ સુપ્રીમ કોર્ટે તેને જામીન પર મુક્ત કર્યો હતો.
ગ્રામ્ય કોર્ટે શરતોને આધીન મુક્ત કરવા આદેશ કર્યો
તથ્યને સુપ્રીમ કોર્ટે ભલે રેગ્યુલર જામીન પર મુક્ત કર્યો હોય પરંતુ તેને જેલની બહાર આવવા માટે વધુ એક પડકારનો સામનો કરવો પડે એમ છે. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે શરત મૂકી કે, તથ્ય પટેલે કોર્ટમાં 1 કરોડ રૂપિયાની રકમ જમા કરાવવી પડશે. આ રકમ મૃતક 9 નિર્દોષ વ્યક્તિઓના પરિવારોને સહાય તરીકે ચૂકવવામાં આવશે. આ રકમ જમા કરાવ્યા બાદ જ તથ્ય પટેલ જેલમુક્ત થઈ શકશે. ગ્રામ્ય કોર્ટે શરતોને આધીન મુક્ત કરવા આદેશ કર્યો છે.
