અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર એકસાથે ત્રણ મૃતદેહો મળી આવતા શહેરમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. રિવરફ્રન્ટના દધીચિ બ્રિજ, અટલ બ્રિજ અને સરદાર બ્રિજ પાસેથી આ મૃતદેહો મળી આવ્યા હતા. આ ત્રણેય ઘટનાઓ સંદર્ભે પોલીસે હાલ અકસ્માત મોત (AD) નો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એક જ દિવસમાં ત્રણ મૃતદેહો મળવાથી સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા થયા છે.
કનૈયા તેના મિત્રનો જન્મદિવસ ઉજવીને ઘરે જતો હતો
મૃતકો પૈકી એકની ઓળખ મણિનગર વિસ્તારના 17 વર્ષીય યુવાન કનૈયા પ્રજાપતિ તરીકે થઈ છે, જેનો મૃતદેહ પાલડી વિસ્તાર પાસેથી મળી આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, કનૈયા તેના મિત્રનો જન્મદિવસ ઉજવીને ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારબાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. તે દોઢ દિવસથી ઘરે પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી અને ખોખરા પોલીસ સ્ટેશનમાં ગેરહાજર હોવા અંગેની અરજી પણ નોંધાવી હતી.
