વટવા વિસ્તારમાં તાજેતરમાં થયેલી એક હત્યાના કેસની તપાસ કરી રહેલી વટવા પોલીસના હાથમાં એક એવો સ્ફોટક ખુલાસો આવ્યો છે, જેણે સમગ્ર પોલીસ બેડાને ચોંકાવી દીધું છે. વટવામાં થયેલી હત્યા પાછળ નકલી નોટોનું આંતરરાજ્ય રેકેટ છુપાયેલું હોવાનું સામે આવ્યું છે. પોલીસ જ્યારે હત્યાના સ્થળ અને કડીઓ મેળવવા તપાસ કરી રહી હતી, ત્યારે જ ઘટનાસ્થળેથી મોટા પાયે ભારતીય ચલણની ડુપ્લિકેટ (નકલી) નોટો બનાવવાનું આખું કારખાનું મળી આવ્યું હતું.


વટવા મર્ડર કેસમાં સૌથી મોટો ઘટસ્ફોટ

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, જે વ્યક્તિની હત્યા થઈ છે તે મૃતક ઇમરાન સિંધા પોતે જ આ કાળા કારોબારનો મુખ્ય સૂત્રધાર હતો. ઇમરાને વટવા વિસ્તારમાં એક મકાન ભાડે રાખ્યું હતું અને ત્યાં તે છેલ્લા ત્રણ મહિનાથી આ નકલી નોટો બનાવવાનું કારખાનું ચલાવતો હતો. ચોંકાવનારી વાત એ છે કે, જે આરોપીઓએ ઇમરાનની હત્યા કરી છે, તેમને મૃતક ઇમરાને જ આ મકાનમાં નકલી નોટો છાપવા માટે નોકરીએ રાખ્યા હતા. આર્થિક લેતીદેતી અથવા આંતરિક વિવાદમાં આ જ નોકરોએ માલિકની હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે.

હત્યા પાછળ નકલી નોટોનું આંતરરાજ્ય રેકેટ

વટવા પોલીસે આ ફેક્ટરી પર દરોડો પાડીને નકલી નોટો બનાવવા માટે વપરાતું હાઇટેક લેઝર પ્રિન્ટર, લેમિનેશન મશીન, સિક્યુરિટી થ્રેડ, RBI (આરબીઆઈ) લખેલા ખાસ બટર પેપર, મહાત્મા ગાંધીજીના ફોટાવાળા વોટરમાર્ક અને ડુપ્લિકેટ નોટો છાપવા માટેનું મોટા પ્રમાણમાં કાચું મટીરિયલ જપ્ત કર્યું છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ કૌભાંડના તાર અન્ય રાજ્યો સાથે પણ જોડાયેલા છે, કારણ કે હરિયાણાથી પકડાયેલા આ જ આરોપીઓ પાસેથી પણ મોટી સંખ્યામાં તૈયાર કરાયેલી ડુપ્લિકેટ નોટો મળી આવી છે. વટવા પોલીસે મૃતક ઇમરાન સિંધા અને પકડાયેલા અન્ય ૬ આરોપીઓ વિરૂદ્ધ હત્યાની સાથે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનો ગુનો નોંધી તમામના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Ahmedabad: પતિની અટકાયતથી રોષે ભરાયેલી મહિલાએ ફિનાઈલ પીધું, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ

  • Follow us on: