વટવા વિસ્તારમાં તાજેતરમાં થયેલી એક હત્યાના કેસની તપાસ કરી રહેલી વટવા પોલીસના હાથમાં એક એવો સ્ફોટક ખુલાસો આવ્યો છે, જેણે સમગ્ર પોલીસ બેડાને ચોંકાવી દીધું છે. વટવામાં થયેલી હત્યા પાછળ નકલી નોટોનું આંતરરાજ્ય રેકેટ છુપાયેલું હોવાનું સામે આવ્યું છે. પોલીસ જ્યારે હત્યાના સ્થળ અને કડીઓ મેળવવા તપાસ કરી રહી હતી, ત્યારે જ ઘટનાસ્થળેથી મોટા પાયે ભારતીય ચલણની ડુપ્લિકેટ (નકલી) નોટો બનાવવાનું આખું કારખાનું મળી આવ્યું હતું.
વટવા મર્ડર કેસમાં સૌથી મોટો ઘટસ્ફોટ
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, જે વ્યક્તિની હત્યા થઈ છે તે મૃતક ઇમરાન સિંધા પોતે જ આ કાળા કારોબારનો મુખ્ય સૂત્રધાર હતો. ઇમરાને વટવા વિસ્તારમાં એક મકાન ભાડે રાખ્યું હતું અને ત્યાં તે છેલ્લા ત્રણ મહિનાથી આ નકલી નોટો બનાવવાનું કારખાનું ચલાવતો હતો. ચોંકાવનારી વાત એ છે કે, જે આરોપીઓએ ઇમરાનની હત્યા કરી છે, તેમને મૃતક ઇમરાને જ આ મકાનમાં નકલી નોટો છાપવા માટે નોકરીએ રાખ્યા હતા. આર્થિક લેતીદેતી અથવા આંતરિક વિવાદમાં આ જ નોકરોએ માલિકની હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે.










