અમરેલી જિલ્લાના રાજુલા નજીક આવેલા સોમનાથ-ભાવનગર હાઇવે પર પીપાવાવ બ્રિજ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટુ-વ્હીલર પર જઈ રહેલા ચાંચ ગામના બે વ્યક્તિઓને એક અજાણ્યા ફોરવ્હીલ ચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક વાહન સાથે સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે ઈજાગ્રસ્તોના જણાવ્યા અનુસાર પૂરપાટ ઝડપે આવતી કારે તેમની બાઈકને અડફેટે લીધી હતી.

ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા

અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી 108 ની ટીમે બંને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી રાજુલા હોસ્પિટલ ખસેડ્યા હતા. તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે અકસ્માતનો ભોગ બનેલા બંને વ્યક્તિઓ નજીકના ચાંચ ગામના વતની છે.

ગંભીર રીતે ઘવાયેલા માલદેવભાઈનું મહુવા સારવાર દરમિયાન મોત

અકસ્માતમાં ચાંચ ગામના માલદેવ બાલાભાઈ ગુજરિયાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમની સ્થિતિ વધુ નાજુક જણાતાં તેમને વધુ સારવાર અર્થે મહુવાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન માલદેવભાઈનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે ચાંચ ગામમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે અને પોલીસે ફરાર કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Bhavnagar લઠ્ઠાકાંડ મુદ્દે પોલીસ તંત્રની મોટી કાર્યવાહી, LCB PI મયુરધ્વજસિંહ સરવૈયા સસ્પેન્ડ