આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં આવેલા કલમસર ગામે સ્થિત 'રોહન ડાઇઝ' કંપનીમાં કામ કરતા સ્થાનિક યુવક/શ્રમિકનું અકસ્માતે મોત નીપજતાં ભારે વિવાદ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ મૃતક યુવકના પરિવારજનો અને કલમસર ગામના મોટી સંખ્યામાં લોકો કંપની ખાતે પહોંચી ગયા હતા. મૃતકના પરિવારને યોગ્ય વળતર આપવાની માંગ સાથે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરીને રોહન ડાઇઝ કંપનીનો સંપૂર્ણ ઘેરાવો કર્યો હતો. મામલો બિચકતાં જ ડીવાયએસપી સહિતનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

ઉશ્કેરાયેલા ગ્રામજનો પર પોલીસનો લાઠીચાર્જ અને સામે પથ્થરમારો

કંપની પરિસરમાં એકઠા થયેલા ઉશ્કેરાયેલા ગ્રામજનોને વિખેરવા અને સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે આકરાં પગલાં ભરીને કલમસરના ગ્રામજનો પર લાઠીચાર્જ શરુ કર્યો હતો. પોલીસના લાઠીચાર્જ બાદ ગ્રામજનોનો આક્રોશ બેવડાયો હતો અને લોકોએ પોલીસ ટુકડી પર સામે વળતો ભારે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા આ હિંસક પથ્થરમારામાં બે પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેથી વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

સ્થિતિ કાબૂમાં લેવા પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા

પથ્થરમારા અને હિંસક અથડામણના કારણે કલમસર ગામમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી. ઉપદ્રવીઓને વિખેરવા અને પરિસ્થિતિને વધુ વણસતી અટકાવવા માટે પોલીસે આખરે ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. ટીયરગેસના છોડાયેલા સેલ અને સતત પેટ્રોલિંગ બાદ પોલીસે પરિસ્થિતિ પર અંકુશ મેળવવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડીવાયએસપીના વડાપણ હેઠળ કલમસર ગામ અને રોહન ડાઇઝ કંપની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પોલીસે મામલાને થાળે પાડયો

ખંભાતના કલમસર સ્થિત એક કંપની ખાતે અચાનક ઉશ્કેરાયેલા ટોળાં દ્વારા પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવતાં વાતાવરણ તંગ બની ગયું હતું. આ હિંસક ઘટનામાં 10થી વધુ બાઈક, 4થી વધુ કાર તેમજ પોલીસ વાહનોના કાચ તૂટી ગયા હતા, જ્યારે પથ્થરમારા દરમિયાન ત્રણ પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. સ્થિતિ વણસતાં પોલીસે કલમસર ગામ સુધી પહોંચી લાઠીચાર્જ કરી ટોળાંને વિખેરી નાખ્યું હતું અને મામલો થાળે પાડ્યો હતો. હાલ ઘટનાસ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાતાં સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે.

આ પણ વાંચો : Ahmedabad News : IIM ખાતે યુવતીની છેડતી કરનાર ફૂડ ડિલિવરી બોયની વસ્ત્રાપુર પોલીસે કરી ધરપકડ