ભાવનગરમાં ભેળસેળયુક્ત દારૂ પીવાથી સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 5 પર પહોંચી ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને હોસ્પિટલમાં એડમિટ દર્દીઓ અને મૃતકો સહિત તમામ મળી કુલ 23 વ્યક્તિઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. દારૂમાં કયા પ્રકારનું ઝેરી રસાયણ કે ભેળસેળ હતી તેની ચોક્કસ માહિતી મેળવવા માટે આ તમામ 23 બ્લડ સેમ્પલને તાત્કાલિક ધોરણે ચકાસણી અર્થે FSL ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
3 લોકોના મોત દારૂ પીવાથી થયાની પોલીસ પુષ્ટિ, 2 ના કારણ અસ્પષ્ટ
પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક વિગતો મુજબ, નોંધાયેલા 5 મોતોમાંથી 3 લોકોના મોત દારૂ પીવાના કારણે જ થયા હોવાનું પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે. જ્યારે અન્ય 2 વ્યક્તિઓના મોત પાછળનું સચોટ કારણ હજુ સુધી અસ્પષ્ટ રહ્યું છે. આ 2 વ્યક્તિઓના મોત ઝેરી દારૂના કારણે થયા છે કે અન્ય કોઈ શારીરિક વિષમતાથી, તે FSL ગાંધીનગરનો કેમિકલ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
