ભાવનગર શહેરના પ્રખ્યાત જવાહર મેદાન ખાતે યોજાયેલા લોકમેળામાં અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવી તોડફોડ કરવામાં આવી હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો હતો. મેળામાં મનોરંજન માટે રાખવામાં આવેલી રાઈડ્સમાં વગર ટિકિટે બળજબરીપૂર્વક ઘૂસવાનો પ્રયાસ કરીને આ ઉપદ્રવીઓએ ભારે હંગામો મચાવ્યો હતો. આ ઘટનાને પગલે ઘોઘારોડ પોલીસે તાત્કાલિક હરકતમાં આવીને ગુનો નોંધી અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવવાની કડક કાર્યવાહી હાથ ધરી હતી.

વગર ટિકિટે રાઈડ્સમાં ઘૂસી રૂ.50,000 નું નુકસાન પહોંચાડ્યું

મળતી પ્રાથમિક વિગતો મુજબ, જવાહર મેદાનના મેળામાં ઘૂસેલા અસામાજિક તત્વોએ રાઈડ્સના સંચાલકો અને કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરી હતી અને ટિકિટ લીધા વિના જ રાઈડ્સમાં બેસવા મુદ્દે તકરાર કરી હતી. આ બબાલ ઉગ્ર બનતાં આરોપીઓએ રોષે ભરાઈને રાઈડ્સ અને આસપાસના સેટઅપમાં તોડફોડ કરી આશરે રૂ.50,000 નું ભારે આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. મેળાના આનંદદાયક માહોલમાં ભયનો વાતાવરણ ઊભું થતાં સંચાલકો દ્વારા ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ઘોઘારોડ પોલીસે 2 સગીર સહિત 4 ની અટકાયત કરી

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઘોઘારોડ પોલીસે સઘન તપાસ ચલાવીને કાયદાના સંઘર્ષમાં આવેલા 2 સગીર સહિત એકંદરે 4 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે અસામાજિક તત્વોની દાદાગીરી અને રોફ ઉતારવા માટે 2 આરોપીઓને જવાહર મેદાનના મેળાવડામાં જ જનમેદની વચ્ચે લઈ જઈને કાન પકડાવી જાહેરમાં ઉઠક-બેઠક કરાવી હતી અને લોકો સમક્ષ માફી મંગાવી હતી. જ્યાં આતંક મચાવ્યો હતો તે જ સ્થળે પોલીસે આરોપીઓનો અહંકાર ઓગાળી દઈને દાખલારૂપ અને પ્રશંસનીય કામગીરી કરી હતી.

આ પણ વાંચો : Ahmedabadમાં છેતરપિંડી અને સાયબર ક્રાઈમનો ત્રિપલ એટેક, જમીન કૌભાંડ, APK ફ્રોડ અને વેપારના નામે લાખોની ઠગાઈથી ચકચાર