ભાવનગર શહેરના પ્રખ્યાત જવાહર મેદાન ખાતે યોજાયેલા લોકમેળામાં અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવી તોડફોડ કરવામાં આવી હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો હતો. મેળામાં મનોરંજન માટે રાખવામાં આવેલી રાઈડ્સમાં વગર ટિકિટે બળજબરીપૂર્વક ઘૂસવાનો પ્રયાસ કરીને આ ઉપદ્રવીઓએ ભારે હંગામો મચાવ્યો હતો. આ ઘટનાને પગલે ઘોઘારોડ પોલીસે તાત્કાલિક હરકતમાં આવીને ગુનો નોંધી અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવવાની કડક કાર્યવાહી હાથ ધરી હતી.
વગર ટિકિટે રાઈડ્સમાં ઘૂસી રૂ.50,000 નું નુકસાન પહોંચાડ્યું
મળતી પ્રાથમિક વિગતો મુજબ, જવાહર મેદાનના મેળામાં ઘૂસેલા અસામાજિક તત્વોએ રાઈડ્સના સંચાલકો અને કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરી હતી અને ટિકિટ લીધા વિના જ રાઈડ્સમાં બેસવા મુદ્દે તકરાર કરી હતી. આ બબાલ ઉગ્ર બનતાં આરોપીઓએ રોષે ભરાઈને રાઈડ્સ અને આસપાસના સેટઅપમાં તોડફોડ કરી આશરે રૂ.50,000 નું ભારે આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. મેળાના આનંદદાયક માહોલમાં ભયનો વાતાવરણ ઊભું થતાં સંચાલકો દ્વારા ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
