ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂ પીવાના કારણે 5 યુવકોના મોતના મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ કથિત લઠ્ઠાકાંડ અંગે કાયદેસરની ફરિયાદ (FIR) નોંધવા પોલીસે તજવીજ હાથ ધરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ભાવનગરના સ્થાનીક બુટલેગર ગૌતમ સોલંકી અને મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈનના રઈશ તથા મુકેશ નામના બુટલેગરોએ ભેગા મળીને આ આખો નકલી દારૂ તૈયાર કર્યો હતો. ગેરકાયદેસર કમાણી કરવાની લાલચમાં બનાવવામાં આવેલા આ વિષકારી દારૂએ 5 નિર્દોષ યુવકોનો ભોગ લીધો છે.

વિદેશી દારૂની બોટલમાં દેશી દારૂ મિક્સ કરી 250 બોટલો તૈયાર કરાઈ

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આ નકલી દારૂનો જથ્થો મધ્યપ્રદેશના ઉજ્જૈનથી લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ગૌતમ સોલંકી, મુકેશ અને રઈશ નામના બુટલેગરોએ વિદેશી દારૂ (IMFL) ની અસલી બોટલોમાં દેશી દારૂનું મિશ્રણ કર્યું હતું. આ રીતે ભેળસેળ કરીને આરોપીઓએ કુલ 250 જેટલી ડુપ્લીકેટ દારૂની બોટલો ભરી હતી અને તેને વેચાણ માટે સપ્લાય કરી દીધી હતી. વિદેશી બોટલમાં દેશી દારૂ ભેળવવાના આ ખતરનાક ખેલના કારણે જ દારૂ ઝેરી બન્યો હોવાની આશંકા છે.

મુખ્ય બુટલેગરની સઘન પૂછપરછ, 130થી વધુ બોટલો જપ્ત

ઘટનાની ગંભીરતાને જોઈને પોલીસે સમગ્ર નેટવર્ક પર દરોડા પાડ્યા છે. બુટલેગરોએ ભરેલી 250 બોટલોમાંથી 130થી વધુ નકલી બોટલો પોલીસે કબજે કરી લીધી છે. હાલ મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિતના આરોપીઓની અટકાયત કરી સઘન પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. આ નકલી દારૂની બાકીની બોટલો કોને કોને વેચવામાં આવી હતી તે દિશામાં પણ પોલીસે તપાસ ચાલુ રાખી છે જેથી અન્ય લોકોને પીતા અટકાવી શકાય.

આ પણ વાંચો : Bhavnaagrમાં ભેળસેળિયા દારૂનો કહેર! મૃત્યુઆંક 5 પર પહોંચ્યો, 19 લોકો સારવાર હેઠળ