ભાવનગરમાં ચર્ચિત લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના IG ગગનદીપ ગંભીર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કેસમાં IG ગગનદીપ ગંભીરની છેલ્લા 7 કલાકથી સતત મેરેથોન બેઠક ચાલી રહી છે. લઠ્ઠાકાંડની તપાસ દરમિયાન સ્થાનિક પોલીસની ભૂમિકા સામે અનેક સવાલો ઊભા થતાં આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી 24 કલાકમાં જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક કાયદાકીય કે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
ASP, PI અને PSI સહિતના ઉચ્ચ અધિકારીઓના નિવેદનો નોંધાયા
આ સમગ્ર મામલે સતત બીજા દિવસે પણ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના નિવેદનો નોંધવાની પ્રક્રિયા પૂરજોશમાં યથાવત રહી હતી. SMCની તપાસના ભાગરૂપે બે સસ્પેન્ડેડ PI, SOG-PI, સોનગઢ પોલીસ સ્ટેશનના PI, નીલમબાગ પોલીસ સ્ટેશનના PI, LIBના PSI, LCBના બે PSI તેમજ સ્થાનિક ASPના વિધિવત નિવેદનો નોંધવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ પૂછપરછથી સમગ્ર પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
