ભાવનગરના ચર્ચિત લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા તપાસનો ધમધમાટ સતત ચાલુ રાખવામાં આવ્યો છે. આ ગુનાના કામમાં સંડોવાયેલા વધુ એક આરોપીને SMC ની ટીમે સફળતાપૂર્વક ઝડપી લીધો છે. પોલીસ તપાસમાં સામે આવેલા નવા તથ્યો આધારે ઝડપાયેલા આ આરોપીનું નામ ઇશ્વરભા દેવરાજભા ગઢવી હોવાનું ખુલ્યું છે.

આરોપીને ભચાઉથી ઝડપી ભાવનગર લવાયો, રિમાન્ડની તજવીજ

SMC ની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને આરોપી ઇશ્વરભા ગઢવીને ભચાઉ ખાતેથી ઝડપી પાડ્યો હતો. અટકાયત કર્યા બાદ SMC ની ટીમ આરોપીને વધુ પૂછપરછ અને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે ભાવનગર ખાતે લઈ આવી છે. ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા અને અન્ય સંડોવાયેલાઓની માહિતી મેળવવા માટે પોલીસ દ્વારા આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

લઠ્ઠાકાંડ મામલે અત્યાર સુધીમાં કુલ 28 આરોપીઓ જેલહવાલે

ભાવનગર લઠ્ઠાકાંડ કેસમાં પોલીસ અને SMC દ્વારા કડક હાથે તપાસ ચલાવવામાં આવી રહી છે. આ કેસમાં તબક્કાવાર કાર્યવાહી કરતા અત્યાર સુધીમાં કુલ 28 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. મુખ્ય આરોપીઓથી લઈને આ નેટવર્કમાં મદદગારી કરનાર તમામ વિરુદ્ધ કાયદાકીય સિકંજો મજબૂત કરવામાં આવી રહ્યો છે. આ કેસમાં દારુ કોને સપ્લાય કરવામાં આવ્યો અને સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે તેની દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. SMCની કાર્યવાહીથી આગામી સમયમાં વધુ ધરપકડો થવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.  

આ પણ વાંચો : Anand News : પીપળાવમાં રૂ.2 લાખથી વધુની ચોરીનો ભેદ ઉકેલાયો! સગીર સહિત 3 આરોપી ઝડપાયા