કચ્છ જિલ્લાના ભચાઉ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભચાઉના વોંધ ઓવરબ્રિજ નીચે જાહેરમાં ફાયરિંગ કરીને એક વ્યક્તિની નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વોંધ ઓવરબ્રિજ નીચે હરગોવિંદ નામના વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો.મુકેશ સાધુ નામના શખ્સે હરગોવિંદ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં ગંભીર ઈજાઓ થવાના કારણે હરગોવિંદનું કરુણ મોત નીપજ્યું હતું.
પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
ઘટનાની જાણ થતા જ ભચાઉ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસને તપાસ દરમિયાન સ્થળ પરથી કારતૂસનું ખાલી ખોખું મળી આવ્યું છે.આ ઉપરાંત પોલીસને એક તલવારનું મ્યાન પણ મળી આવ્યું છે. હુમલાખોરો હથિયારો સાથે સજ્જ થઈને આવ્યા હતા અને કદાચ ઝપાઝપી પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં આ લોહીયાળ ખેલ પાછળ પારિવારિક અદાવત જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે.













