કચ્છ જિલ્લાના ભચાઉ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભચાઉના વોંધ ઓવરબ્રિજ નીચે જાહેરમાં ફાયરિંગ કરીને એક વ્યક્તિની નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વોંધ ઓવરબ્રિજ નીચે હરગોવિંદ નામના વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો.મુકેશ સાધુ નામના શખ્સે હરગોવિંદ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં ગંભીર ઈજાઓ થવાના કારણે હરગોવિંદનું કરુણ મોત નીપજ્યું હતું.


પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો

ઘટનાની જાણ થતા જ ભચાઉ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસને તપાસ દરમિયાન સ્થળ પરથી કારતૂસનું ખાલી ખોખું મળી આવ્યું છે.આ ઉપરાંત પોલીસને એક તલવારનું મ્યાન પણ મળી આવ્યું છે. હુમલાખોરો હથિયારો સાથે સજ્જ થઈને આવ્યા હતા અને કદાચ ઝપાઝપી પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં આ લોહીયાળ ખેલ પાછળ પારિવારિક અદાવત જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે.

આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા

જૂની દુશ્મનાવટનો બદલો લેવા માટે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાની શંકાના આધારે પોલીસે વિવિધ દિશામાં તપાસ તેજ કરી છે. ભચાઉ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

આ પણ વાંચોઃ Gujarat Weather News: આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી, 25 એપ્રિલ બાદ ગરમીમાં વધારો થશે


  • Follow us on: