અમદાવાદના ધોળકા વિસ્તારમાં શિક્ષિકા પત્નીની હત્યા કરનાર પતિની પોલીસે ધરપકડ કરી છે. પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા મતભેદ અને શંકા મા પત્નીની હત્યા નિપજાવી પેટ્રોલ છાંટી મૃતદેહ સળગાવી દીધો હતો. મહત્વનું છે કે હત્યા બાદ પતિએ જ પત્ની ગુમ થઈ હોવાની જાણ પરિવાર અને પોલીસને કરી હતી. જોકે પોલીસ તપાસમાં પતિ ભાગી પડતા હત્યા અંગેની તમામ હકીકત સામે આવી છે. જે અંગે પોલીસે ગુનો દાખલ કરી હત્યારા પતિની ધરપકડ કરી છે.
પતિએ જ પત્નીની હત્યા કરી
અમદાવાદના ધોળકા પોલીસે પકડેલા આરોપીનું નામ બળદેવભાઈ ઝાલા છે.જેણે પોતાની પત્ની રીનાબેન ઝાલાની માથામા પથ્થર મારી હત્યા નીપજાવી હતી.જે બાદ મૃતદેહને પેટ્રોલ છાંટી સળગાવી દીધો હતો.આરોપી બળદેવ આટલેથી નહીં અટકતા પરિવાર અને પોલીસને પણ પોતાની પત્ની ગુમ થઈ હોવાની જાણ કરી હતી.એક તરફ પોલીસ અને પરિવાર શિક્ષક રીના ઝાલાની શોધખોળ કરતો હતો.બીજી તરફ ચલોડા ગામના સીમમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની તપાસ કરતા તે રીના ઝાલાનો હોવાનું સામે આવ્યું છે.જે અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી શોધખોળ કરતા તેનો પતિજ આરોપી હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.













