દહેગામ તાલુકાના બહિયલ ગામમાં થયેલા પથ્થરમારાની ઘટના બાદ હાલમાં ગામમાં અજંપા ભરી શાંતિ પ્રવર્તી રહી છે.કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસે પથ્થરમારાની ઘટનામાં સંડોવાયેલા ઈસમો સામે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે. આ ઘટના અંગે ફરિયાદીએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી હતી.


પ્લાનિંગ મુજબ કાવતરૂ રચીને હુમલો કરવામાં આવ્યો

ફરિયાદી સૌનક પટેલે સંદેશ ન્યૂઝને જણાવ્યું હતું કે, ગામમા પ્લાનિંગ મુજબ કાવતરૂ રચીને હુમલો કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવી તેને માત્ર બહાનું બનાવી હુમલો કરવામાં આવ્યો છે. 1500 જેટલા લોકોના ટોળાએ ગામને ઘેરી લઈને બે કલાક સુધી પથ્થરમારો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, પથ્થરમારો કરવાનું પ્લાનિક અગાઉથી તૈયાર હતું. પહેલાથી જ ધાબા પર પથ્થરો એકઠા કર્યા હતાં. પોલીસ આ લોકો સામે કડક કાર્યવાહી કરે તેવી માગ કરવામાં આવી છે. શાંતિ બની રહે તેવી પોલીસ તંત્ર પાસે આશા રાખી રહ્યાં છીએ.

ટોળાએ દુકાનો અને વાહનોમાં તોડફોડ કરી હતી

ગાંધીનગર એસપી રવિ તેજા વાસમશેટ્ટીએ કહ્યું હતું કે, ટોળાએ દુકાનો અને વાહનોમાં તોડફોડ કરી હતી. ત્યાર બાદ નજીકમાં ગરબા ચાલુ હતા તે તરફ ગયા હતાં. સોશિયલ મીડિયાની પોસ્ટથી વિવાદ સર્જાયો હતો. આઈ લવ મહાદેવની પોસ્ટ મુકવા અપીલ કરાઈ હતી.પોલીસે આ ઘટનામાં 60 લોકોની અટકાયત કરી છે. જ્યારે 20 શંકાસ્પદોના નામ પોલીસ પાસે છે. પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. ગાંધીનગર DYSP પિયુષ વાંદાએ જણાવ્યું હતું કે, ગામમાં શાંતિ અને સલામતી ડોહળાય નહીં તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે.સ્થાનિકોએ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર ધ્યાન ન આપવું અને કોઈપણ ગેરમાર્ગે દોરનારા મેસેજને ધ્યાને ન લેવા.


  • Follow us on: