ગુજરાતમાં ઠગાઈના અનેક કેસ સામે આવી રહ્યાં છે. બેંકો સાથે છેતરપિંડી થયાની અનેક ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે ગાંધીનગરમાં GIDCમાં સ્થિતિ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે 3.42 કરોડની ઠગાઈ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. કોરોના કાળમાં બે લોકોએ લોન લઈને પરત ભરવાની બંધ કરી દીધી હતી. આ ઘટનામાં સીઆઈડી ક્રાઈમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


ગાંધીનગર GIDCમાં આવેલી SBI સાથે છેતરપિંડી

પ્રાપ્ત વિગતો પ્રમાણે કોરોના કાળમાં પંજરી એગ્રો પ્રોસેસિંગ એલએલપી કંપનીના માલિકોએ ગાંધીનગરમાં Gidcમાં સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાંથી 3.42 કરોડની લોન લીધી હતી. આ લોનના હપ્તા થોડા સમય સુધી ભર્યા બાદ ભરવાનું બંધ કરી દીધું હતું. કંપનીના માલિકોએ આ લોનની સામે અમરેલી ખાતેની ત્રણ મિલકતો ગીરવી મુકી હતી. બંને ભાગીદારોએ સમયસર હપ્તા નહીં ભરતા બેંક દ્વારા 27 ડીસેમ્બર 2022ના રોજ ન એકાઉન્ટને NPA જાહેર કર્યા હતાં.

સીઆઈડી ક્રાઈમે ગુનો નોંધી તપાસ હાથ ધરી

બેંક દ્વારા લોન લેનારની જગ્યાએ જઈને રૂબરૂ તપાસ હાથ ધરાઈ હતી. જ્યાં તાળા લાગેલા દેખાતા બેંક સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી બેંક દ્વારા પંજરી એગ્રો પ્રોસેસિંગના માલિકો ચિંતન પરમાર અને મેહુલ વાણંદ સામે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવાઈ છે. ગાંધીનગર સીઆઈડી ક્રાઈમે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: