સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાંથી પસાર થતી સાબરમતી નદીમાં ભૂમાફિયાઓ દ્વારા બેફામ રીતે ગેરકાયદેસર રેતી ખનન આચરવામાં આવી રહ્યું છે. હિંમતનગરના દેરોલ, દેધરોટા સહિતના આસપાસના વિસ્તારોમાં નદીના પટમાંથી 'બાજ નાવડી' (સક્શન બોટ) નો ઉપયોગ કરીને દિવસ-રાત ગેરકાયદેસર રીતે રેતી ઉલેચવામાં આવી રહી છે. બાજ નાવડીના ઉપયોગથી નદીના ઊંડા પેટાળમાંથી રેતી કાઢવામાં આવતી હોવાથી નદીમાં રહેતા જળચર પ્રાણીઓ અને સ્થાનિક પર્યાવરણને ભારે નુકસાન પહોંચી રહ્યું છે.

અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં, અરજદારોની રજૂઆતો એળે ગઈ

સાબરકાંઠા જિલ્લામાં દિન-પ્રતિદિન વધી રહેલા રેતી અને માટી ચોરીના બનાવોને રોકવામાં જિલ્લા ખાણ ખનીજ વિભાગ સંપૂર્ણપણે નિષ્ફળ નિવડ્યો છે. સ્થાનિક અરજદારો અને ગ્રામજનો દ્વારા વારંવાર પુરાવા સાથે લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ પરિણામ શૂન્ય આવ્યું છે. પોતાની ઓફિસમાં આરામ ફરમાવતા ભૂસ્તર શાસ્ત્રી અને ખનીજ વિભાગના અધિકારીઓની શંકાસ્પદ કામગીરી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

અધિકારીઓ અને કલેક્ટરનું મૌન, સરકારી તિજોરીને મોટું નુકસાન

આ ગંભીર ખનીજ ચોરીના મામલે જ્યારે ખાણ ખનીજ અધિકારી કિશન પટેલનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓ કેમેરા સામે નિવેદન આપવાથી દૂર ભાગ્યા હતા અને મૌન સેવ્યું હતું. બીજી તરફ જિલ્લા કલેક્ટરે પણ આ મામલે કોઈ પણ નિવેદન આપવાનું ટાળ્યું છે. અધિકારીઓની આ નિષ્ક્રિયતા અને મૌનને કારણે ભૂમાફિયાઓને ખુલ્લો દોર મળી ગયો છે, જેનાથી એક તરફ પર્યાવરણનો વિનાશ થઈ રહ્યો છે તો બીજી તરફ રોયલ્ટી ચોરીના કારણે રાજ્ય સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે.

આ પણ વાંચો : Gir Somnath News : વેરાવળમાં સાયબર ઠગોનો આતંક, ક્રેડિટ કાર્ડના નામે બે લોકો સાથે રૂ.2.75 લાખથી વધુની ઠગાઈ