જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળા દરમિયાન ભગવા વસ્ત્રો ધારણ કરી નાગા સાધુઓ અને સંતોની વચ્ચે જઈને વિવાદિત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલે મૃગી કુંડમાં ડૂબકી મારી હતી. જેનો વીડિયો વાયરલ થતાં જ તંત્રના અધિકારીઓએ કિર્તીને બહાર કાઢી હતી. ત્યાર બાદ તેણે એક મહિલા પોલીસ કર્મી સાથે બબાલ કરતાં પોલીસ કર્મીએ ફરિયાદ નોંધાવી હતી. હવે ફરીવાર કીર્તિ પટેલ સામે બીજી ફરિયાદ નોંધાઈ છે.
કિર્તી પટેલ સામે નોંધાઇ બીજી ફરિયાદ
જૂનાગઢના મૃગી કૂંડમાં સ્નાન કરવા મુદ્દે વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે બીજી ફરિયાદ નોંધાઈ છે. સાધુ સંતોની આસ્થાને ઠેસ પહોંચાડવા મુદ્દે ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આશ્રમના એક કાર્યકર પાસેથી ફરિયાદ લેવાનું શરૂ કર્યું હતું. હાલ કીર્તિ પટેલ પોલીસ પકડથી દૂર હોવાથી તેને પકડવા માટે પોલીસ રવાના થઈ હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. બીજી તરફ સુત્રો દ્વારા એવો પણ દાવો કરાયો હતો કે, કીર્તિ પટેલને જૂનાગઢના એક આશ્રમમાં જ સાધુઓએ ભગવા પહેરાવ્યા હતાં. પોલીસે હાલમાં વિવાદ વધતા જ કીર્તિ પટેલને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.













