જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના સરદારપુર ગામ ખાતે હત્યાનો એક બનાવ સામે આવ્યો હતો. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પરપ્રાંતિય પતિએ અન્ય મહિલા સાથેના પ્રેમ સંબંધને કારણે પોતાની પત્નીને ગળાફાંસો આપીને હત્યા કરી હતી. આ બનાવ સરદારપુર ગામની સીમમાં બન્યો હતો.
આરોપીઓ ખેત મજૂરી માટે આવ્યા હતાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં પરપ્રાંતિય પતિએ અન્ય મહિલા સાથેના પ્રેમ સંબંધને કારણે પોતાની પત્નીની ગળા ટૂંપો આપીને હત્યા કરી નાખી હતી.સરદારપુર ગામની સીમમાં બન્યો હતો હત્યાના બે આરોપીઓ નાનીયાભાઈ સસ્તે અને જેનું સોલંકી મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે સરદારપુર ગામે ખેતમજૂરી અર્થે આવ્યા હતા. મૃતક મહિલા નિયદીબેન સસ્તે આરોપી નાનીયાભાઈ સસ્તેના પત્ની હતા.
પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા
પોલીસના જણાવ્યા અનુસાર પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.આ ઝઘડાનું મુખ્ય કારણ નાનીયાભાઈના પર સ્ત્રી સાથેના સંબંધો હતા.ઝઘડાના કારણે તારીખ ૧૮/૧૦/૨૦૨૫ ના રોજ રાત્રિના આશરે આઠ વાગ્યાની આસપાસ આરોપી નાનીયાભાઈ સસ્તે વાડીએ આવ્યો હતો.ત્યાં તેની પત્ની નિયદીબેન સાથે માથાકૂટ થતાં આવેશમાં આવીને આરોપીએ પત્નીને ગળાટૂંપો આપ્યો હતો.આ ઉપરાંત તેણે બોથડ પદાર્થ વડે પત્નીના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી.જેના કારણે બ્રેઈન ડેડ થતાં તેમનું મૃત્યુ થયું હતું.
આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી
આ ગુનામાં બીજા આરોપી જેનું સોલંકીની ભૂમિકા પણ સામે આવી છે.તેણે ગુનાહિત કાવતરામાં ભાગીદારી કરીને પુરાવાનો નાશ કરવામાં મદદ કરી હોવાનું ખૂલ્યું છે.પોલીસે નાનીયાભાઈ સસ્તે અને જેનું સોલંકી, બંને આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે આરોપી જેનું સોલંકીની અન્ય ગુનાહિત પૃષ્ઠભૂમિ પણ છે.મધ્યપ્રદેશ ખાતેના અન્ય ગુનાઓમાં પણ તેની સંડોવણી ખૂલી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.હાલમાં પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.