જૂનાગઢ જિલ્લાના માણાવદર શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. માણાવદરમાં આવેલી એક મોબાઈલની દુકાનમાં અજાણ્યા શખ્સ દ્વારા ઘાતકી હુમલો કરીને વેપારીની સરાજાહેર હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ વ્યાપી ગયો છે તેમજ સ્થાનિક વેપારી આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.

ઘટનાસ્થળે જ વેપારીનું કરૂણ મોત

મળતી માહિતી મુજબ, મૃતક વેપારી પોતાની મોબાઈલની દુકાને હાજર હતા તે દરમિયાન અચાનક ધસી આવેલા અજાણ્યા શખ્સે તીક્ષ્ણ છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. હુમલો એટલો ગંભીર હતો કે ગંભીર રીતે ઘવાયેલા વેપારીનું ટૂંકી ક્ષણોમાં જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. હુમલાખોર શખ્સ વહેલી તકે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

મૃતદેહ પીએમ અર્થે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ

બનાવની જાણ થતાં જ માણાવદર પોલીસનો કાફલો તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવીને મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે સ્થાનિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હત્યા પાછળનું કારણ અંગત અદાવત છે કે લૂંટનો ઈરાદો, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને આરોપીને ઝડપી પાડવા ચારેય તરફ નાકાબંધી કરી છે.

આ પણ વાંચો : Rajkotમાં ટ્રાફિક જામમાંથી મળશે મુક્તિ, શહેરના મુખ્ય 24 રાજમાર્ગો ટૂંક સમયમાં થશે હોકર્સ ફ્રી