ખેડા જિલ્લાના નડિયાદ-ઉત્તરસંડા રોડ પર આવેલા કોંકરણ મંદિર પાસે એક હૃદયકંપાવનારો માર્ગ અકસ્માત સર્જાયો છે. નડિયાદથી ચકલાસી થઈ વિદ્યાનગર તરફ જઈ રહેલી એક ST બસની અડફેટે બાઈક આવી જતાં બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળે જ અત્યંત કરૂણ મોત નીપજ્યું હતું. માથાના ભાગે ગંભીર અને ભયાનક ઈજાઓ પહોંચવાને કારણે યુવકે સ્થળ પર જ દમ તોડી દીધો હતો.

નોકરી પર જતાં મારૂતિ સુઝુકીના કર્મચારીનું કરૂણ મોત

અકસ્માતનો ભોગ બનેલા યુવકની ઓળખ નડિયાદના રહેવાસી હેમીલ પંડ્યા તરીકે થઈ છે. હેમીલ પંડ્યા નડિયાદમાં આવેલા મારૂતિ સુઝુકીના સર્વિસ સેન્ટરમાં બોડી શોપ એડવાઈઝર તરીકે ફરજ બજાવતા હતા. રોજિંદા ક્રમ મુજબ તેઓ પોતાના બાઈક પર સવાર થઈને નોકરી પર જઈ રહ્યા હતા તે દરમિયાન જ આ કાળમુખી ઘટના ઘટી હતી. ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના મોટા ટોળાં એકત્ર થઈ ગયા હતા.

અકસ્માત સર્જી ડ્રાઈવર-કંડક્ટર ફરાર

અકસ્માત સર્જાયા બાદ તુરંત જ ST બસના ડ્રાઈવર અને કંડક્ટર સ્થળ પર જ બસ મૂકીને ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટુકડી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે મૃતક યુવકના પરિવારમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો : Narmada ડેમ છલકાવાની તૈયારીમાં! 95%થી વધુ ભરાયો, મહત્તમ સપાટીથી માત્ર 1.20 મીટર દૂર